મુજપુર-ગંભીરા જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે સરકારની એક્શન મોડમાં કામગીરી શરુ

File Photo
માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ અપાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ-રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો મહાજોશમાં અભિયાન શરૂ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન મહાજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં બનેલી મુજપુર-ગંભીરા જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જ્યાં રોડ –રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી – અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.
ઉક્ત કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ (૧) કામદાર કોલોની મેઇન રોડ (૨) જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ ૧૪૦૪ આવાસ સુધીનો રોડ અને (૩) એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે–૨૦૨૨ માં પૂર્ણ થયું હતું. ચાલુ વર્ષે ઉપરોક્ત રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે.
જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી, સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. પરીણામે, રોડમાં થયેલ નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. આમ, ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ નં. ૩ અને ૧૭ અનુસાર કુલ ૧૫૨૦ ચો.મી. રોડ રીસરફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તક રામમંત્ર મંદિરથી દીલ્બહાર પાણીની ટાંકી સુધી બીટુમીનીયસ પેવરના કામ માટે એજન્સી ઓમ કન્સ્ટ્રકશનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામ કંપની દ્વારા તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂરું કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય પછી આ કામમાં ક્ષતિ જણાતા ઓમ કન્સ્ટ્રકશનના ખર્ચે ડીફેકટવાળા ભાગને રીકાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.
વધુમાં આવી જ પ્રોએક્ટીવ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ચોમાસાના કારણે જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નં.૧ થી ૧૫માં અનેક માર્ગો ડેમેજ થયા હતા. શહેરના વોર્ડ નં.૧ થી ૧૫માં વિવિધ ગ્રાન્ટ અંતર્ગત રોડ રસ્તાના કામો મંજૂર થયા હતા અને આ કામો હાલ ગેરેંટી પીરીયડ હેઠળ ચાલુ હતા અને રોડ ડેમેજ થયું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા રોડની ઉપરની સરફેશમાં નુકશાન થયેલ અમુક ભાગો છોડી દેવામાં આવ્યા હતા, તેમજ કરવામાં આવતા પેચ – રીસર્ફેસીંગ રોડની સંપુર્ણ પહોળાઈમાં કરવામાં આવ્યું ન હતું, વધુમાં સંપુર્ણ સરફેશમાં પેચવર્ક કર્યા બાદ તેમાં આસફાલ્ટ પેઈન્ટીંગ, થર્મોપ્લાસ્ટ વગેરેની કામગીરી પણ હજુ સુધી શરૂ કરવામાં આવી ન હતી આ રોડના સમારકામનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયું ન હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાને ઘટનાની જાણ થતા ત્રણેય કોન્ટ્રાકટરને નોટીસ આપી સમય મર્યાદામાં તે જગ્યાએ વોર્ડના સંલગ્ન એન્જીનિયરશ્રી ની સુચના મુજબ તેમના સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી.
જેથી અંબર બિલ્ડર પાસેથી ડેમેજ થયેલ રાજકોટ રોડ પર ૫૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. શ્રમ શ્રદ્ધા કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ ૪૩૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. સર્જન કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ મીરાનગર મેઈન રોડ આશરે ૪૮૦ ચો.મીટર રોડ ડીસમેટલીંગ કરી નવો સી.સી.રોડ બનાવડાવવામાં આવ્યો હતો.
વધુમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા નવા માર્ગોનું ખોદાણ ન કરવા તેમજ ચોમાસા પૂર્વ ખોદાણ કરેલ માર્ગોને રીપેર કરવા માટે જરૂરીયાત મુજબ મટીરીયલનો ઉપયોગ કરી વોટરીંગ, તથા રોલિંગ કરવા માટે પી.સી. સ્નેહલ કન્ટ્રકશન પ્રા.લીને મહાનગરપાલીકા, જૂનાગઢ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત, રાજ્યના મહાનગરપાલિકા – નગર પાલિકા અને જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના વડા અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને રોડ-રસ્તા અને અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.