વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

કચ્છ (ગુજરાત), કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે
તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે.
જામનગરમાં આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીમાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની પ્રક્રિયા વન વિભાગના સીધા નિરીક્ષણ અને નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનીકી અને સંસાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી.
તેની તૈયારીના ભાગરૂપે ગુજરાત વન વિભાગ અને વનતારાની ટીમો દ્વારા તાજેતરમાં એક સંયુક્ત ક્ષેત્રીય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનનો હેતુ હરણોના નિવાસસ્થાનની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યમાં આ પ્રજાતિના પુનર્સ્થાપનના પ્રયાસો માટે મુખ્ય પર્યાવરણીય પગલાં ઓળખવાનો હતો. આ સહયોગી સમીક્ષામાં વન અધિકારીઓ, વનતારાના વન્યજીવ જીવવિજ્ઞાનીઓ અને પશુચિકિત્સકો સામેલ હતા અને તેનો ઉદ્દેશ્ય રાજ્યના વ્યાપક સંરક્ષણ આયોજનોને મદદ પૂરી પાડવાનો હતો.
ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો. બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું કેઃ “આ પહેલ સંરક્ષણ માટેનો સહયોગી અભિગમ દર્શાવે છે, જ્યાં બન્નીના ઘાસના મેદાનોમાં જૈવવિવિધતાને મજબૂત કરવા માટે વૈજ્ઞાનિક નિપૂણતા અને સંસાધનને લગતી સહાયનું સંયોજન કરવામાં આવે છે. સરકારની આગેવાની હેઠળના પ્રયાસોમાં સહયોગ આપતી વેળા સમાન ઉદ્દેશ્યો પર આધારિત ભાગીદારી થકી સાર્થક સંરક્ષણના પરિણામો પ્રાપ્ત કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહે છે.”
ગુજરાતના કચ્છ જિલ્લામાં 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનો એશિયાના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંનું એક છે. સર્વેક્ષણોમાં આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિઓ નોંધવામાં આવી છે, જેમાં છ માંસાહારી અને બે શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રજાતિઓમાં ચિંકારા (ઇન્ડિયન ગઝેલ), ભારતીય વરુ, ગોલ્ડન શિયાળ, નીલગાય, પટ્ટાવાળા ઝરખ અને શિયાળનો સમાવેશ થાય છે. બન્નીના પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ગુજરાત વન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ નિરંતર જારી રાખતાં ક્ષતિગ્રસ્ત વિસ્તારોને પુનર્સ્થાપિત કરવા, આક્રમક પ્રજાતિઓને નિયંત્રિત કરવા અને સ્થાનિક વન્યજીવનને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ એવા સ્થાનિક ઘાસના વિકાસને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચિતલને બન્નીમાં લાવવામાં પરિસ્થિતિનું સંતુલન પુનર્સ્થાપિત કરવાના ચાલી રહેલા પ્રયાસોમાં એક મુખ્ય સીમાચિન્હ છે. વનતારાની ભૂમિકા એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકેની જ રહે છે, જેમાં સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ લક્ષ્યોની સેવામાં વૈજ્ઞાનિક સમજ, પશુચિકિત્સાની કુશળતા અને તકનીકી માળખાકીય સુવિધાઓના યોગદાનનો સમાવેશ થાય છે. સાથે મળીને આ સહયોગી પ્રયાસો ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં અને ભારતના કુદરતી વારસાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરી રહ્યા છે.