આણંદ મનપાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર

પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
આણંદ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિના વિવિધ કામો માટે આ વર્ષે કુલ-૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મેહસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાને લઈ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલ હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”, “KARAMSAD ANAND MUNICIPAL CORPORATION” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરનામા થી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા‘માં રૂપાંતરીત કરવામાં આવી હતી.