Western Times News

Gujarati News

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું

ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી

છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ પ્રશંસાપાત્ર:-મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
___
પાલનપુર,  ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.

મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ “એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર” તક્તિનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સાથે આંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

મંત્રીશ્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

તેમણે રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા ૧૪ વર્ષના વેરને સમાધાન કરાવીને સામજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે.

ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.

આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી.

ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.

આ કાર્યક્રમમાં રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા, જિલ્લા અગ્રણીશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી પી.એન.માળી સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.