સુરતમાં અસામાજિક તત્વો થયાં બેફામ: એક જ રાતમાં બેની હત્યા

સુરત, સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં બે યુવકોની હત્યા કરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે રોડ પર ભાઈને મુકવા જવાની તૈયારી કરતા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી બુટલેગર સહિત ૮ શખસોએ હુમલો કર્યાે હતો.
બુટલેગરે ચપ્પુના ૪ ઘા મારી યુવકના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. બીજી ઘટનામાં ઉત્રાણમાં ૨૧ વર્ષીય યુવકને પણ રાત્રે માત્ર બાઈકને ટક્કર લાગવાની સામાન્ય બાબતમાં માતા-પિતાની નજર સામે ચપ્પુના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ બંને ઘટનામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પહેલી ઘટનામાં મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં ૩૪ વર્ષીય મીતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો. મીતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
મીતુનો ભાઈ બીટ્ટાસાહબ પ્રધાન વતન જતો હોવાથી ગત રોજ રાત્રે મીતુ, પિતરાઈ ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મુકવા માટે ઘર નજીક ઉભા હતા.
બદ્રી નામનો એક માથાભારે શખસ જે પાંડેસરા નાગશેનનગરમાં દારૂનો ધંધો કરે છે તે ૮ જેટલા શખસો સાથે ધસી આવ્યો હતો. કિશન અને મીતુને પહેલાં બે તમાચા માર્યા હતા. બદ્રીએ તેના પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલાં મીતુને પેટના ભાગે ચાર ઘા માર્યા હતા. તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ પેટના ભાગે ત્રણ ઘા માર્યા હતા.
સાથે કિશનને પણ હાથ પર એક ઘા માર્યાે હતો.મીતુને પેટના ભાગે ચાર જેટલા ઘા મારતા આંતરડા પણ બહાર આવી જતા તેનું મોત નીપજ્યું હતું.હત્યાની બીજી ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશ અને કામરેજના અંબોલી ગામ ખાતે રહેતો ૨૧ વર્ષીય રાજ શુકલાલ અરવાલ પરિવાર સાથે રહેતો હતો.
ભંગારનો ધંધો કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરતો હતો. ગતરોજ રાત્રે ૯.૩૦ વાગ્યા આસપાસ રાજ કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર સોસાયટીમાં તેની માસીની દીકરીને પાણી આપવા માટે મોપેડ લઈને ગયો હતો.
રાત્રે ૧૦ વાગ્યા આસપાસ યુવકે પિતાને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા મને શિવાએ ચાકુ મારી દીધું છે. જેથી માતા-પિતા અને પરિવારના અન્ય બે સભ્યો રિક્ષા લઈને માનસરોવર સોસાયટી પાસે પહોંચ્યા હતા. જ્યાં માતા-પિતાની નજર સામે જ શિવા નામના યુવકે રાજને આડેધડ ચપ્પુના ઘા મારી દેતા રાજ શુકલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.SS1MS