અંબાજીમાં મોહનથાળ પ્રસાદને ઈટ રાઈટ પ્રસાદ પ્રમાણપત્ર મળ્યું

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંબાજી મંદિરને ઈટ રાઈટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે
અંબાજી, અંબાજી મંદિરમાં વર્ષે ૧.૨૫ કરોડ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે, જેને હવે FSSAI દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર મળ્યું છે. આ સિદ્ધિ મંદિરના પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાનું પ્રતિબિંબ છે.
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ ૧ કરોડ ૨૫ લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. ખાસ આ પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને સહિતના તમામ માપદંડોને આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શન અને મહા મહેનતનું પરિણામ છે.
નોંધનીય છે કે, ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે હાલ અંબાજી મંદિરને મળ્યું છે, જેથી સાબીત થાય છે કે, અંબાજી મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાના તમામ પાસાઓનું જીણવટભર્યું ધ્યાન અપાય છે.
અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરાશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું છે.