CRPFના જવાનો દ્વારા તૈયાર કરાયેલા ૨૫થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષકે કર્યું ઉદ્ઘાટન

પોલીસ મહાનિરીક્ષક શ્રી અનુપમ શર્માની અધ્યક્ષતામાં ‘CRPF ગ્રુપ કેન્દ્ર – ગાંધીનગર’ના ૫૮માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
દેશની આંતરિક સુરક્ષા, ચૂંટણી જેવી જવાબદારીઓમાં CRPFના જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા ;- CRPF-ગાંધીનગર રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અનુપમ શર્મા
Gandhinagar, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ગાંધીનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ‘૫૮માં CRPF ગ્રુપ કેન્દ્રની’ ઉજવણી સી.આર.પી.એફ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેંજ શ્રી અનુપમ શર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત CRPFના જવાનો દ્વારા તૈયાર કરાયેલા ૨૫થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી અનુપમ શર્માએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ કેન્દ્રની સ્થાપના તા.૦૧ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ગામેથી કરવામાં આવી હતી. આજે આ ગ્રુપ કેન્દ્રનો ૫૮મો સ્થાપના દિવસ છે. જેની સર્વે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સાથે સંકળાયેલા પોલીસ જવાનો અને તેમના પરિવારોને શુભકામનાઓ પાઠવું છું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, CRPFના જવાનો દેશની આંતરિક સુરક્ષા, ચૂંટણી, કુદરતી આપત્તિઓ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં ફરજ બજાવતા હોય છે. આજે CRPFના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતાને પરિણામે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આ સ્થાપના દિને પરેડ ગ્રાઉન્ડ ઉપર જવાનો દ્વારા ૨૫થી વધુ સ્ટોલ તૈયાર કરયા છે.
જેમાં મુખ્યત્વે શિક્ષણ, મેડીકલ – કોસ્મેટીક, રમત –ગમત અને ખાણી-પીણી વગેરેનો સમાવેશ થાય છે. CRPFના અધિકારીઓ- જવાનોને તેમના પરિવાર સાથે આ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જવાનોનો જુસ્સો વધારવા શ્રી અનુપમ શર્માએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં CRPF-ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષકશ્રીની ધર્મપત્ની સુખબીર કૌર, મેડીકલ મહાનિરીક્ષક ડૉ. રક્ષપાલ સિંહ, કમાન્ડેન્ટ શ્રી વિજયકુમાર વર્મા, ૧૩૫ મહિલા કમાન્ડેન્ટ શ્રી વિજયા ઢૂંઢિયાલ તેમજ સી.આર.પી.એફના અધિકારી – કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.