મ્યુનિ.માં આઠ વર્ષ બાદ પોતાનાં કહી શકાય તેવા ૩ ડે. કમિશનરની ભરતી થશે

અમદાવાદ, મ્યુનિ.માં લગભગ આઠ વર્ષ બાદ પોતાનાં કહી શકાય તેવા એટલે કે મ્યુનિ.નાં જ અધિકારીઓમાંથી અને બહારનાં ઉમેદવારોમાંથી કુલ ત્રણ ડે.કમિશનરની ભરતી કરવામાં આવશે અને મહત્વની જગ્યાઓ ઉપર કોનો નંબર લાગશે તે બાબતે મ્યુનિ.વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ છે.મ્યુનિ.માં વર્ષાે અગાઉ મોટાભાગનાં ડે.કમિશનર તરીકે મ્યુનિ.નાં જ સિનિયર અને અનુભવી અધિકારીઓની નિમણૂંક કરાતી હતી.
પરંતુ પ્રમોશન અને આર.આર. ઘડવાની માંગ સાથે થયેલાં કોર્ટ કેસ બાદ આખો મામલો ફરી ગયો હતો અને ડે.કમિશનરની નિમણૂંકની સત્તા રાજ્ય સરકાર હસ્તક થઇ ગઇ હતી.
જોકે અમદાવાદને બાદ કરતાં અન્ય મહાનગરપાલિકાઓમાંથી વ્યાપક વિરોધ થતાં રાજ્ય સરકારે જે તે મહાનગરપાલિકામાં ડે.કમિશનરની શિડ્યુલ મુજબની જેટલી જગ્યા હોય તેમાંથી અમુક જગ્યા જ જે તે મહાનગરપાલિકા ભરી શકશે તેવો સુધારો કરી આપ્યો હતો.
બીજી બાજુ ૨૦૦૯માં ડે.કમિશનર તરીકે આર્જવ શાહ અને દિલીપ ગોરની નિમણૂંક થઇ તે પછી દિલીપ ગોર ૨૦૧૬માં નિવૃત્ત થયાં તે પછી મ્યુનિ.માં પોતાનાં ડે.કમિશનરની ભરતી માટે કોઇ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા નહોતા અને તેના માટે જે તે સમયનાં કમિશનરો તેમજ ભાજપનાં હોદ્દેદારોએ પણ કોઇ ખાસ રસ લીધો નહોતો.
પરંતુ વર્તમાન ટર્મનાં મ્યુનિ.હોદ્દેદારોએ મ્યુનિ.નાં ત્રણ ડે.કમિશનરની ખાલી જગ્યા ભરવા માટે આગ્રહ સેવતાં કમિશનરે નિયમાનુસાર ડે.કમિશનરની બે જગ્યા અંદરથી અને એક જગ્યા બહારથી ભરવા માટે જાહેરાત આપી હતી અને ગત સપ્ટેમ્બરમાં તેના માટે પરીક્ષા પણ લેવાઇ હતી. આશ્ચર્યજનક રીતે સપ્ટેમ્બર મહિના પછી ડે.કમિશનરની ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાને બદલે કોઇ કારણોસર બ્રેક મારી દેવાઇ હતી.SS1MS