વડોદરા જિલ્લાના વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત

વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે. નર્સ તરીકે ફરજ બજાવતી તેમની પત્ની બપોરે ઘરે આવતાં કોન્સ્ટેબલ પતિના આપઘાતની જાણ થઈ હતી.
જો કે, આપઘાતનું કોઇ જ કારણ બહાર આવ્યુ ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા (૩૨) (રહે. અસાર, તા. કવાંટ, જી. છોટાઉદેપુર) ૨૦૧૭માં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા, ડેસર અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા.
આજે કોઈક કારણસર તેમણે વાઘોડિયા માડોધર રોડ વિસ્તારમાં આવેલી રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હૂક સાથે ઓઢણી વડે ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો.
મૃતક કોન્સ્ટેબલની પત્ની નર્સ તરીકે ફર્સ્ટ શિફ્ટમાં ફરજ પર ગયેલ હોવાથી બપોરે બે વાગ્યે ઘરે આવી ત્યારે રૂમનો દરવાજો બંધ હતો. બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા.
પત્નીએ બૂમાબૂમ કરી તો આસપાસના લોકો દોડી આવ્યા અને વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી.વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ઘટનાના પગલે પોલીસ સ્ટાફમાં ગમગીની છવાઈ હતી.
લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણસર આપઘાત કર્યાે તે અંગે કોઈ સુસાઇડ નોટ મળતી નથી. જેથી તેનું પગલું હજુ રહસ્ય જ છે. વાઘોડિયા પોલીસે તેમના વતન પરિવારને જાણ કરી, વધુ તપાસ હાથ ધરી છે.SS1MS