200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનનો પણ સામનો કરી શકે તેવી ભગવાન શ્રીરામની મૂર્તિ

ટોરોન્ટોમાં ભગવાન શ્રીરામની ૫૧ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનું અનાવરણ
ટૉરોન્ટો, તા.૭: કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરોન્ટોમાં ચોથી ઑગસ્ટે ભગવાન શ્રીરામની ૫૧ ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ફાઇબર ગ્લાસ અને સ્ટીલથી બનેલી આ પ્રતિમા એટલી મજબૂત છે કે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનનો પણ સામનો કરી શકે છે.
આ મૂર્તિના ઉદ્ધાટનના ભવ્ય સમારોહમાં ઘણા રાજકારણીઓ અને ભક્તોએ હાજરી આપી હતી. આ પ્રતિમા પશ્ચિમના દેશોમાં સનાતન ધર્મનું પ્રતીક છે. આ પ્રતિમાનું નિર્માણ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલી આ પ્રતિમા સ્થાનિક રીતે કૅનેડાના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી, જે પરંપરાગત કારીગરી અને આધુનિક એન્જિનિયરિંગના મિશ્રણનો નમૂનો છે.
View this post on Instagram
આ મૂર્તિને એક સદી સુધી કંઈ જ થશે નહીં. ઇન્ડો-કૅનેડિયન ઉદ્યોગપતિ લાજ પ્રશેરના અનુદાનથી આ શકય બન્યું હતું. ગ્રેટર ટૉરોન્ટો એરિયાના મંદિરમાં યોજાયેલા મૂર્તિના અનાવરણ કાર્યક્રમમાં ફેડરલ કૅબિનેટ પ્રધાનો અને હાઉસ ઑફ કૉમન્સમાં વિરોધ પક્ષના નેતા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રના સ્થાપક અને મુખ્ય પૂજારી આચાર્ય સુરિન્દર શર્મા શાષાીએ જણાવ્યું હતું કે ‘જાન્યુઆરી ૨૦૨૪માં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે મંદિરના ઉદ્ધાટનથી તેમને પ્રેરણા મળી હતી.
આ મૂર્તિની સ્થાપના ફક્ત ગૌરવની ક્ષણ નથી, એ સમુદાયને એક આધ્યાત્મિક ભેટ છે.’ ઉદ્ધાટન માટે આશરે ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. એમાં કૅનેડાના પ્રધાન રેચી વાલ્ડેઝ, ટ્રેઝરી બોર્ડના પ્રમુખ શફકત અલી અને ઇન્ટરનૅશનલ ટ્રેડ મિનિસ્ટર મનિન્દર, હાઉસ ઑફ કૉમન્સમાં વિરોધ પક્ષ વગેરેનો સમાવેશ હતો.
પ્રતિમા જ્યાં સ્થાપિત કરવામાં આવી છે એ સ્થાનને કારણે એ કૅનેડામાં નવા આવનારાઓ માટે વધારે પ્રતિષ્ઠિત પ્રતીક બની ગયું છે. ટૉરોન્ટો પિયર્સન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરતાં વિમાનો ઘણી વાર મંદિરની ઉપરથી ઊડે છે. હવે મુસાફરોનું સ્વાગત કરવા માટેનાં પ્રથમ સ્થળોમાં ભગવાન શ્રીરામની ભવ્ય મૂર્તિ હશે.