બે કટ્ટર દેશો અઝરબૈજાન અને આર્મેનિયાની ૩૫ વર્ષ જૂની દુશ્મનીનો અંત

વાશિગ્ટન, અમેરિકાની મધ્યસ્થી હેઠળ બે જૂના હરીફો અઝરબૈજાન અને આર્મેનિયાએ શુક્રવારે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠક વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં થઈ હતી.
આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો નથી, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. આ કરાર ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને તે રશિયામાં ગભરાટ ફેલાવશે તે નિશ્ચિત છે, જે આ ક્ષેત્રને તેના પ્રભાવના ક્ષેત્રમાં માને છે.
ટ્રમ્પે સાઇનિંગ સેરેમનીમાં કહ્યું કે, ‘અમે ૩૫ વર્ષ સુધી લડ્યા, હવે અમે મિત્રો છીએ… અને લાંબા સમય સુધી મિત્રો રહીશું.” સમારોહમાં ટ્રમ્પ સાથે અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયાના પ્રમુખ નિકોલ પશિનિયન પણ હાજર હતા. બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નાે-કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં, વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર છે. ૧૯૮૦ના દાયકાના અંતમાં આર્મેનિયાના સમર્થનથી તે અલગ થઈ ગયું હતું.
૨૦૨૩માં, અઝરબૈજાને સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું, ત્યારબાદ લગભગ ૧ લાખ વંશીય આર્મેનિયનો આર્મેનિયા ગયા.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશોએ લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર દક્ષિણ કાકેશસ દ્વારા વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ કોરિડોર માટે યુએસને વિશિષ્ટ વિકાસ અધિકારો પણ આપે છે.
આનાથી ઊર્જા અને અન્ય સંસાધનોની નિકાસમાં વધારો થશે.બંને નેતાઓએ સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા બદલ ટ્રમ્પની પ્રશંસા કરી અને કહ્યું કે, અમે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરીશું. અલીયેવે કહ્યું, ‘જો ટ્રમ્પ નહીં, તો પછી નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળવો જોઈએ?”ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં પોતાને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યાે છે.
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, રવાન્ડા અને કોંગો, તેમજ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ કરાર કરાવ્યા છે. જોકે, ભારતે તેમના દાવાને નકારી કાઢ્યો છે. ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષનો અંત લાવી શક્યા નથી.SS1MS