બેન્કોએ મૃત ગ્રાહકના બેંક ખાતા, લોકરના દાવાનું ૧૫ દિવસમાં સેટલમેન્ટ કરવું પડશે

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક એ મૃત્યુ પામેલા ગ્રાહકોના બેન્ક ખાતાઓ અને લોકરો પરના દાવાઓના સરળ અને ઝડપી સેટલમેન્ટ માટેના નવા નિયમોની દરખાસ્ત કરી છે. સૂચિત નિયમોમાં દાવાના સેટલમેન્ટ માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરાઈ છે.
બેન્કોએ તમામ જરૂરી દસ્તાવેજ મળ્યાના ૧૫ કેલેન્ડર દિવસમાં દાવાના પ્રોસેસિંગની કામગીરી પૂરી કરવી પડશે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓ માટે બેન્કોએ ૧૫ દિવસમાં એક સંદેશ જારી કરીને તેમાં રહેલી સામગ્રી લેવાની તારીખ નક્કી કરવી પડશે.
જોકે આનાથી વધુ વિલંબ થશે તો બેન્કે વ્યાજ ચુકવવું પડશે. કેન્દ્રીય બેંકે ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (બેંકોના મૃત ગ્રાહકોના સંદર્ભમાં દાવાઓનું સમાધાન) દિશાનિર્દેશો, ૨૦૨૫’ નામનો ડ્રાફ્ટ પરિપત્ર જારી કર્યાે છે અને ૨૭ ઓગસ્ટ સુધીમાં તેના પર જાહેર જનતાના પ્રતિભાવ મંગાવ્યા છે.આ દરખાસ્ત હેઠળ બેંકોએ નોમિની અથવા કાનૂની વારસદારો પાસેથી દાવા અને સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરવો પડશે.
આ ફોર્મ તમામ બેંક શાખાઓમાં તેમજ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે, જેમાં જરૂરી દસ્તાવેજોની યાદી અને દાવાની પતાવટ માટેની સ્ટેપ બાય સ્પેટ પ્રોસિજરની માહિતી હશે.
ડિપોઝિટ એકાઉન્ટ અથવા લોકરમાં નોમિનીનું નામ હોય તો તેમણે ક્લેમ ફોર્મ, મૃત ગ્રાહકનું મૃત્યુ પ્રમાણપત્ર તથા પોતાની ઓળખ અને સરનામાનો પુરાવો સબમિટ કરવાનો રહેશે. કોઈ નોમિનેશન કરવામાં આવ્યું ન હોય, તેવા કિસ્સામાં બેંકોએ કાનૂની વારસદારોને અસુવિધા ટાળવા માટે સરળ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
બેંકોએ ઓછામાં ઓછા રૂ.૧૫ લાખના દાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આ મર્યાદા સુધીના દાવા માટે ઇન્ડેમ્નિટી બોન્ડ અને અન્ય કાનૂની વારસદારો તરફથી નો-ઓબ્જેક્શન લેટર જેવા દસ્તાવેજોની જરૂર પડશે. આનાથી વધુ દાવાની રકમ માટે વારસા પ્રમાણપત્ર અથવા કાનૂની વારસદાર પ્રમાણપત્ર જેવા વધારાના કાનૂની દસ્તાવેજોની જરૂર પડશે.
જો બેંકો પોતાની ભૂલને કારણે ડિપોઝિટ સંબંધિત દાવાઓના સેટલમેન્ટમાં સમયમર્યાદા પછી વિલંબ કરે તો બેન્કોએ વિલંબના સમયગાળા માટે વ્યાજના રૂપમાં વળતર ચૂકવવું પડશે. આ વળતર પ્રવર્તમાન બેંક રેટ વત્તા વાર્ષિક ૪ ટકાના વ્યાજ લેખે ગણવું પડશે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓના કિસ્સામાં, વિલંબના દરેક દિવસ માટે વળતર રૂ.૫,૦૦૦ હશે.SS1MS