Western Times News

Gujarati News

યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત શક્ય તમામ ફાળો આપશેઃ વડાપ્રધાન મોદી

File Photo

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલાં યુદ્ધને રોકવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ૧૫મી ઓગસ્ટે યોજાનારી મંત્રણા પૂર્વે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મામલે ફોન પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

બંને વડાઓની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને ખાતરી આપી હતી કે, રશિયા-યુક્રેન લડાઈના ઝડપી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત શક્ય તમામ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોની પ્રશંસા કરવાની સાથે જ ઝેલેન્સ્કીએ પરોક્ષ રીતે ભારત દ્વારા રશિયાના ઓઈલની ખરીદીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે મળતા ભંડોળમાં ઘટાડો થાય તે માટે ઝેલેન્સ્કીએ રશિયન ઓઈલની ખરીદી મર્યાદિત કરવાની અપીલ કરી હતી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેનના નાગરિકોનું સમર્થન કરવા બદલ હું વડાપ્રધાનનો આભારી છું.

ભારત દ્વારા અમારા શાંતિના પ્રયાસોને સમર્થન આપવાની તથા યુક્રેનને લગતા તમામ મામલાઓના નિર્ણયમાં યુક્રેનની હિસ્સેદારી હોવી જોઈએ તેવો અભિગમ દર્શાવવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દરમિયાન તેઓ મોદી સાથે વ્યક્તિગત મીટિંગ કરશે.

વડાપ્રધાન મોદીએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી અને વર્તમાન ઘટનાક્રમ અંગે તેમના દૃષ્ટિકોણ વિશે જાણ્યું. મેં તેમને હાલમાં ચાલી રહેલાં સંઘર્ષના ઝડપી અને શાંતિપૂર્ણ ઉકેલ અંગે ભારતના અભિગમ વિશે જણાવ્યું હતું. યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે તથા યુક્રેન સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારત પ્રતિબદ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.