એર કેનેડાના ફ્લાઇટ એટેન્ડેન્ટ્સનો હડતાળ સમેટવા ઇન્કાર

ટોરન્ટો, એર કેનેડાની ફ્લાઇટના હડતાળ પર ઉતરેલાં ૧૦,૦૦૦થી વધુ ફ્લાઇટ એટેન્ડેન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તે કામ પર નહિ જાય અને હડતાળ ચાલુ રાખશે અને તેના કારણે આવા પીક સમર ટ્રાવેલ સીઝનમાં વિશ્વભરમાં ૧,૦૦,૦૦૦થી વધુ મુસાફરો અટવાયા છે.
કેનેડા ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ બોર્ડે સ્ટાફને બપોરે બે કલાક સુધીમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. સરકારે પણ દરમિયાનગીરી કરી હતી અને એ પછી એર કેનેડાએ કહ્યું હતું કે રવિવાર સાંજ સુધી કામગીરી શરૂ કરી દેવાશે. પરંતુ કેનેડિયન યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઇઝ નેશનલ પ્રેસીડેન્ટ માર્ક હેન્કોકે કહ્યું હતું કે અમારા સભ્યો કામ પર નહિ જાય.
આખી પ્રક્રિયા જ ખોટી છે અને આ આદેશ ગેરબંધારણીય છે. એર કેનેડાએ અમારી સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યાે છે અને તે કોઇ શરત સ્વીકારવા તૈયાર નથી. જોકે આ મામલે સરકાર અને કંપનીનો તત્કાળ પ્રતિસાદ જાણી શકાયો નહતો.
અગાઉ એર કેનેડાએ કહ્યું હતું કે પહેલી ફ્લાઇટ દિવસના અંતમાં ફરી શરૂ થશે પરંતુ તેની કામગીરી સામાન્ય થવામાં ઘણા દિવસો લાગશે. શેડ્યૂલ સ્થિર ન થાય ત્યાં સુધી આગામી સાતથી ૧૦ દિવસમાં કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે.
કામદારોએ હડતાળ પાડ્યાના માત્ર ૧૨ કલાકની અંદર જ ફેડરેલ જોબ્સ મિનિસ્ટર પેટ્ટી હાજ્દૂએ ૧૦,૦૦૦ જેટલા ફ્લાઇટ એટેન્ડેન્ટ્સને કામ પર પાછા ફરવાનો આદેશ કર્યાે હતો અને કહ્યું હતું કે હાલમાં અર્થતંત્ર સાથે જોખમ લેવાનો સમય નથી.SS1MS