દુબઇ જતી ફ્લાઇટના પેસેન્જરની બેગમાંથી એક કારતૂસ મળી આવ્યો

અમદાવાદ, અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતૂસ મળી આવ્યો હતો. જેથી તેની સિક્યુરિટી એજન્સીએ પૂછપરછ કરી હતી. પરંતુ યુવક આ અંગે કંઇ જ જાણતો ન હોવાનું રટણ જારી રાખ્યું હતું.
આ મામલે એરપોર્ટ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વિવેકાનંદ કૈલાસભાઇ યાદવ એરપોર્ટ ખાતે બે વર્ષથી સીઆઇએસએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
ગઇકાલે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની ડ્યુટીએ પહોંચ્યા હતા. તેમની નોકરીનો સમય પૂર્ણ થઇ ગયો હતો પરંતુ રિલિવર આવ્યો ન હોવાથી તેઓ ત્યાં હાજર હતા. તે સમયે અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના પેસેન્જરોનું બો‹ડગ થઇ રહ્યું હતું. ત્યારે લગેજ બેગની સ્કીનીંગ મશીનમાં ચકાસણી વખતે એક યુવકની બેગમાંથી એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો.
તેથી આ મામલે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બેગ ધારકનું નામ પૂછતા તેણે મંથન રાજેશબાઇ નંદાણી હોવાનું અને રાજકોટ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ યુવક પાસે કારતૂસ અંગે પરમીટ માગી હતી. પરંતુ તેની પાસે કોઇ જ પરમીટ હતી નહીં. જેથી આ કારતૂસ બેગમાં કેવી રીતે આવ્યો તે અંગે તેની પુચ્છા કરવામાં આવી હતી.
પરંતુ યુવકે કેવી રીતે કારતૂસ બેગમાં આવ્યો તે અંગે અજાણ હોવાનું રટણ જારી રાખ્યું હતું. જેથી આ મામલે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મંથનની આર્મસ એક્ટ હેઠળ ધરપકડ કરી તપાસ આદરી છે.SS1MS