“જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને બાદમાં પાણીના પણ ભાગલા પાડ્યા”

File Photo
તેમણે સિંધુ જળ સંધિ હેઠળ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું.
(એજન્સી)નવી દિલ્હી , નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની સંસદીય દળની બેઠકને સંબોધિત કરતાં ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપો કર્યા છે. આ બેઠકમાં એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો હતો.
વડાપ્રધાને તેમને સન્માનિત પણ કર્યા હતા. સંસદની લાઈબ્રેરી બિલ્ડીંગ યોજાયેલી આ બેઠકમાં સીપી રાધાકૃષ્ણને સાંસદો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન મોદીએ આક્રમક નિવેદન આપ્યું હતું.
એનડીએની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિ મુદ્દે આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે નેહરૂ પર આક્ષેપ કરતાં કહ્યું હતુ કે, ‘પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને બાદમાં પાણીના પણ ભાગલા પાડ્યા. તેમણે સિંધુ જળ સંધિ હેઠળ ૮૦ ટકા પાણી પાકિસ્તાનને સોંપી દીધું.
ઉલ્લેખનીય છે, ત્યારબાદ નેહરૂએ પોતે પોતાના સચિવના માધ્યમથી આ ભૂલનો સ્વીકાર કર્યો હતો કે, તેનો કોઈ લાભ થયો નથી. આ સમાધાન સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હતું.’ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સિંધુ જળ સંધિ મુદ્દે જવાહરલાલ નહેરૂ પર આક્ષેપો કર્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પર આ જળ સંધિના નિરીક્ષણની માહિતી આપતાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આચરવામાં આવેલા હિમાલય બ્લન્ડર સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય લેતી વખતે નહેરૂએ સંસદ ગૃહને વિશ્વાસમાં લીધુ ન હતુ. તેની સાથે ચર્ચા-વિચારણા પણ કરી ન હતી.’ નડ્ડાએ આગળ કહ્યું કે, ‘સપ્ટેમ્બર, ૧૯૬૦માં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના બે મહિના બાદ સંસદ ગૃહ સમક્ષ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું.