શ્રાવણી દશમે ગુજરાતમાં આ સ્થળે થાય છે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા

મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જન્મેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ ભરૂચ જીલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના કરી ચાર દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે શ્રાવણી દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટી માંથી ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ હજારો ભક્તોએ પડાપડી કરવા સાથે મોબાઈલમાં દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા.
છપ્પનિયા દુકાળથી ભરૂચ જીલ્લામાં મેઘ ઉત્સવ દિવાળી પર્વ કરતાં પણ વધુ મનાવવામાં આવે છે અને ભરૂચ જીલ્લામાં ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી પંચ એમ ત્રણ સમાજ દ્વારા છડી ઉત્સવ સાતમથી પ્રારંભ કરવામાં આવતો હોય છે અને ત્રણેય છડી નોમનું એક રાત્રીએ રોકાણ કરવા માટે અન્ય સ્થળ એટલે કે ખારવા પંચ અને ભોઈ પંચની છડી ધોળીકુઈ વિસ્તારમાં નોમની રાત્રીનું રોકાણ કરે છે.
નોમના દિવસે ધોળીકુઈમાં ભોઈપંચ અને ખારવા પંચની છડી દશમની સવારે પરત ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને પરત છડી દારો છડી ઝુલાવતા ઝુલાવતા લઈ જવામાં આવે છે અને રહેણાંક વિસ્તારો માંથી અગાસી અને મકાનો ઉપરથી ભક્તો છડીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે.
ભોઈ પંચની છડી સોનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ઘોઘારાવ મંદિરે પહોંચી ગયા બાદ ઘોઘારાવ મંદિરે ભોઈ પંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવે છે અને એ છડી સાથે એક રાત્રીનું રોકાણ કરીને આવેલી નોમની છડીનું મિલન એટલે ભેટાડીને ભોઈ પંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે.બંને છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામાં ઉમટી પડ્યું હતું.
ભરૂચના ખારવા પંચની છડી મેઘમેળા માંથી પસાર થઈ કોઠી રોડ, ફુરજા ચાર રસ્તા થઈ વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દશમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આર્શીવાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના સાથે ઝુમ્મર હલતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.જ્યારે વાલ્મિકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રીનું રોકાણ કરવા આલી કાછીયાવાડમાં જાય છે
વાલ્મિકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મોરના પીછાથી તૈયાર કરવામાં આવે છે.જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઉભું કરે છે.નોમની રાત્રીનું રોકાણ કર્યા બાદ શ્રાવણી દશમે વાલ્મિકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે.
આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે.
મેઘ ઉત્સવમાં મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચ બત્તી સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉંમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનું મહલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘ મેળો જામ્યો હતો.
દશમની સંધ્યાકાળે ભોઈ પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલનનું દ્રશ્ય જોવા માટે લોકોએ ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટાડીયા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.
મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડા પડી કરવા સાથે કેટલાય ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો.સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જન્મેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મેઘરાજાનું વિસર્જન થાય બાદ મેઘમેળાનું સમાપન થયું હતું.