ભારત અને ચીનના સંબંધોમાં મક્કમ પ્રગતિ થઈ રહી છેઃ મોદી

File Photo
(એજન્સી)નવી દિલ્હી, જગત જમાદાર અમેરિકાએ ભારત સહિત વિશ્વના દેશો પર ઝીંકેલા ટેરિફનો વળતો જવાબ આપવા માટે દુનિયાના વિવિધ દેશો પોતાની આગવી રણનીતિ ઘડી રહ્યાં છે.
વિશ્વ આખાના અર્થતંત્રમાં ઉથલપાથલ મચાવનારા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતના સત્તાવાર પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઉપરાંત સીમા વિવાદના ઉકેલ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. વાંગ યીએ વડાપ્રધાન મોદીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સંદેશ તથા ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નું નિમંત્રણ પાઠવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ એક્સ પરની એક પોસ્ટમાં ચીનના વિદેશ મંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધોમાં મક્કમ પ્રગતિ થઈ રહી છે. ગયા વર્ષે કઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત બાદ ભારત અને ચીનના સંબંધોમાં એકબીજાના હિત અને લાગણીઓના સન્માનમાં નિરંતર વૃદ્ધિ થઈ છે.