Western Times News

Gujarati News

ડુપ્લિકેટ મતદારો હોવાના આક્ષેપો ખોટાઃ ચૂંટણી પંચ

બિહારના ગ્રામીણ વિસ્તારોમાં એકસરખા નામ અને ઉંમરમાં નવાઈ નથી

ચૂંટણી પંચે બિહારમાં SIRની પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ મતદારોને નવું ઓળખ પત્ર આપવાનું આયોજન કર્યું છે

નવી દિલ્હી, બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણામાં હજારો ડુપ્લિકેટ મતદારો સામેલ કરાયા હોવાના દાવાને ચૂંટણી પંચે રદિયો આપ્યો છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે, જાહેર કરાયેલી યાદી હજુ કાચી છે અને વાંધા-સૂચનો તથા ચકાસણી બાદ તેમાં ફેરફાર થવાનો છે. હાલના તબક્કે ડુપ્લિકેશનના કિસ્સાને આખરી માનવા જોઈએ નહીં.

બિહારની યાદીમાં ૬૭૮૨૬ ડુપ્લિકેટ મતદારો હોવાની આશંકા વ્યક્ત કરતા અહેવાલો સંદર્ભે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ યાદી ડેટા માઈનિંગના આધારે તૈયાર કરાઈ છે અને તેમાં નામ, પરિવાર, ઉંમર જેવા પરિબળો સરખાવવામાં આવશે. સ્થળ ચકાસણી અને દસ્તાવેજો વગર માત્ર આ પરિબળોના આધારે ડુપ્લિકેશનના દાવાને ગ્રાહ્ય રાખી શકાય નહીં. ગ્રામીણ બિહારમાં સમાન વય અને નામ ધરાવતા મતદારોની સંખ્યા વધારે હોય છે, તેથી ચકાસણી વગર ડુપ્લિકેશનના આરોપ લાગી શકે નહીં.

મુખ્ય ચૂંટણી અધિકારીએ વાલ્મિકીનગરનું ઉદાહરણ આપ્યું હતું કે, જેમાં વિસતૃત અહેવાલ વગર ડુપ્લિકેશનના દાવા કરાયા હતા. ત્રિવેણીગંજના અંજલિ કુમારી અને લૌખાના અંકિત કુમાર જેવા છુટાછવાયા કિસ્સા વહીવટી ક્ષતિ અથવા સ્થળાંતરને લગતી વિગતોના કારણે થઈ શકે છે. ઉક્ત બંને કિસ્સામાં ફોર્મ ૮ ભરાવીને આ ક્ષતિ દૂર કરી દેવાઈ છે. ચૂંટણી પંચે બિહારમાં SIRની પ્રક્રિયા સંપન્ન થયા બાદ તમામ મતદારોને નવું ઓળખ પત્ર આપવાનું આયોજન કર્યું છે. મતદારોને ફોર્મ આપતી વખતે લેટેસ્ટ ફોટોગ્રાફ સામેલ કરવાનું કહેવાયું છે.

નવા ફોટોગ્રાફના આધારે રેકોર્ડ અપડેટ કરીને નવા વોટર કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે. ૩૦ સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર થવાની છે અને નવેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જો કે નવા મતદાર ઓળખ કાર્ડ આપવાની તારીખ હજુ જાહેર કરાઈ નથી.બિહારમાં મતદાર યાદી વિશેષ મતદાર યાદી પુનઃનિરીક્ષણ (એસઆઈઆર) પર વિવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસ-આરજેડીએ કેટલાય શહેરોમાંથી મતદાર અધિકાર યાત્રા કાઢીને છે. રવિવારે પટણામાં કોંગ્રેસ નેતા પવન ખેરા અને બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશ રામે પત્રકાર પરિષદ કરીને વિશેષ મતદાર યાદી પુનઃનિરીક્ષણ પર ગંભીર પ્રશ્નો કર્યા છે.

આ સાથે પવન ખેરાએ કહ્યું કે કોંગ્રેસે ૮૯ લાખ ફરિયાદો ચૂંટણી પંચને કરી છે. પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષો તરફથી કોઈ ફરિયાદ મળી નથી. કોંગ્રેસે આક્ષેપ મુક્યો છે કે ચૂંટણી પંચ પોતાના ‘સોર્સ’ના માધ્યમથી સમાચાર પ્લાન્ટ કરાવતું રહે છે કે કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. હકીકતમાં કોંગ્રેસે ૮૯ લાખ ફરિયાદો ચૂંટણી પંચને આપી છે. જ્યારે અમારા બીએલએ ફરિયાદ લઈને જાય છે તો તેમની ફરિયાદ લેવાતી નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.