30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી ભાદરવી પૂનમ મેળામાં આવશે તેવો અંદાજ

અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી પૂનમનો વાર્ષિક મેળો આજે આરંભ્યો છે અને 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે 30 લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શન માટે પધારશે.
દાંતા માર્ગ પર વિધિવત્ પૂજા-અર્ચના અને શ્રીફળ વધેરી રથયાત્રા સાથે મેળાની શરૂઆત કરાઈ. કલેક્ટર અને જિલ્લા એસપીએ રથયાત્રા સાથે મેળાની શરૂઆત કરાવી.
ભક્તોના સંઘ અંબાજી પહોંચવા લાગ્યા છે અને સુચારૂ દર્શન તથા ભીડ નિયંત્રણ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ સાથે ચંદ્રગ્રહણ હોવાથી તે દિવસે સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં દર્શન બંધ રહેશે. ભાવિકોની સુવિધા માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્ય આકર્ષણરૂપે પ્રથમ વખત 400 ડ્રોનનું ભવ્ય લાઇટ શો 3 અને 4 સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે યોજાશે, જેમાં અંબાજી મંદિર, “જય માતાજી” તથા ત્રિશૂલ જેવા આકર્ષક આકારો રાત્રિના આકાશમાં પ્રદર્શિત થશે.
અંબાજી ધામમાં ભાદરવી પૂનમ મેળાનો ભવ્ય શુભારંભ થયો. રથ ખેંચવાની પવિત્ર પરંપરા સાથે મેળાનો આરંભ થતા અંબાજી ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગનો મહાપર્વ જોવા મળ્યો. લાખો શ્રદ્ધાળુઓના ઉમટતા જનસમૂહ વચ્ચે અંબામાની જયઘોષ સાથે આ અનોખા મેળાની શરૂઆત થઈ. આવો સૌ મળીને ભક્તિભાવ સાથે આ પાવન મેળાનો… pic.twitter.com/lMEVwcv9f5
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 1, 2025
શક્તિપીઠ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો કે 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઇ જશે. 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 પછી ધજા નહીં ચડે. આ સિવાય 1થી 6 સપ્ટેમ્બર મંદિર સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.
ભીડ વ્યવસ્થા અને સુવિધાઓ: બસ સ્ટેન્ડથી મંદિરે જતા માર્ગે રેલિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, વડીલો, દિવ્યાંગ, બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે વ્હીલચેર તથા ઈ-રિક્શાની સેવા.
રહેવાની સુવિધા: ચાર વોટરપ્રૂફ ડોમમાં 1,200 પથારી, સ્વચ્છતા બ્લોક, CCTV, મોબાઈલ ચાર્જિંગ, પાણી, અગ્નિશામક સાધનો અને સ્ટોરેજ સુવિધા.
પાર્કિંગ અને પરિવહન: 35 પાર્કિંગ ઝોનમાં 22,500થી વધુ વાહનોની ક્ષમતા, Show My Parking એપ દ્વારા ઑનલાઇન પ્રી-બુકિંગ તથા મફત શટલ બસ સેવા.
પ્રસાદ વિતરણ: 28 કેન્દ્રો મારફતે 750 કર્મચારીઓ દ્વારા 30 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ, સાથે ચાર સ્થળોએ મફત ભોજનની વ્યવસ્થા.
સુરક્ષા વ્યવસ્થા: 5,000 પોલીસકર્મીઓની ત્રિ-સ્તરીય તહેનાતી અને 332થી વધુ CCTV કેમેરા દ્વારા મેળાનું કડક મોનિટરિંગ.
અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં અરાવલી પર્વતોની પાસે આવેલું છે અને 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીં દેવી સતીનું હૃદય પડ્યું હતું એવી માન્યતા હોવાથી આ સ્થાનને વિશેષ ધાર્મિક મહત્વ છે. મંદિરમા કોઈ પ્રતિમા નથી, પરંતુ યંત્રરૂપે દેવીની આરાધના કરવામાં આવે છે. સદીઓથી આ તીર્થસ્થળે લાખો ભક્તો આકર્ષાયા છે અને ભાદરવી પૂનમનો મેળો ગુજરાતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતિક બની રહ્યો છે.