ભારત-ચીન-રશિયા એક થતાં ભારતમાં આવેલા અમેરિકાના દૂતાવાસે શું જણાવ્યું?

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા
(એજન્સી)વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં એકમંચ પર જોવા મળ્યા છે. ત્રણેય નેતાઓ એક-બીજા સાથે હળીમળીને વાતચીત કરી ત્રણેય દેશ એકજૂટ હોવાનો સંદેશ આપ્યો છે. તેમના આ મિલાપ વચ્ચે ભારતમાં અમેરિકાના દૂતાવાસે એક પોસ્ટ કરી ભારત-અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના દૂતાવાસે આજે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી ભારત સાથેની મિત્રતા યાદ કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, યુએસએ અને ભારત વચ્ચેની ભાગીદારી સતત નવી ઊંચાઈએ પહોંચી રહી છે. આ ૨૧મી સદીનો નિર્ણાયક સંબંધ છે.
ઈનોવેશન અને ઉદ્યમથી માંડી સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો સુધી બંને દેશો વચ્ચે સ્થાયી મિત્રતા છે. તે એક નવી ઉર્જા પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે, આ પોસ્ટમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન પણ સામેલ હતું. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાના લોકો વચ્ચે ગાઢ મિત્રતા અમારા સંબંધોનો આધાર છે.
ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત એસસીઓ સમિટ પૂર્ણ થઈ છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. એક બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ખરીદવા મુદ્દે ભારત પર દબાણ થઈ રહ્યું છે. ભારત પર પેનલ્ટી પેટે તેણે વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. જેનાથી ભારત હાલ ૫૦ ટકા ટેરિફનો સામનો કરી રહ્યું છે.