100 રૂપિયા માટે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

AI Image
બનાવ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતીય પતિએ પત્ની પાસે રૂપિયાની માગણી કરતા પત્નીએ રૂપિયાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ ઈંટ અને પથ્થરના ઘા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વાતમાં મારામારી અને હત્યા સહિતના બનાવો બની રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાના બનાવથી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પરપ્રાંતીય પરિવારો ખેત મજૂરી કરવા મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાંથી આવતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાળીયા ઉર્ફે કાળુભાઈ મગનભાઇ ઓહરીયા પણ પત્ની અને ૩ પુત્ર સાથે વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ખેતમજૂરી કરવા માટે આવ્યા હતા.
ગુંદિયાળા તેમજ ટુવા રોડ પર બે ખેતર ખેડવા રાખ્યા હતા. જેમાં કાળુભાઈ પત્ની સાથે ગુંદિયાળા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા હતા, જ્યારે મોટો પુત્ર ટુવા રોડ પર આવેલ ખેતર ખેડવા માટે રાખ્યું હોવાથી ત્યાં જ રહેતો હતો. ખેતમજૂરીનું તમામ કામ કાળુભાઈના પત્ની નૂરીબેન અને બાળકો જ કરતા હતા, પરંતુ જેની પાસેથી ખેતર ખેડવા રાખ્યું હતું તે ઉપેન્દ્રભાઈ પાસેથી કાળુભાઈ અવારનવાર ઉપાડના પૈસા લઈ ખર્ચ કરી નાખતા હતા,
આથી પત્ની નૂરીબેને ખેતરના માલિક ઉપેન્દ્રભાઈને ઉપાડ માટેના રૂપિયા પતિને ન આપવા કહ્યું હતું. જેથી કાળુભાઈ નૂરીબેન પાસે અવારનવાર રૂપિયાની માગણી કરતા જેને લઈને છેલ્લા ઘણા સમયથી રૂપિયા મામલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ત્યારે સોમવારે વહેલી સવારે ફરી એકવાર કાળુભાઈએ પત્ની નૂરીબેનને ઉંઘમાંથી જગાડી રૂપિયાની માગણી કરતા પતિ પત્ની વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થતા નાનો પુત્ર રાહુલ પણ જાગી ગયો હતી.
નૂરીબેને રૂપિયા આપવાની ના પાડતા ઝઘડો વધુ ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા કાળુભાઈએ નાના પુત્ર રાહુલની નજર સામે જ ઓરડીની બાજુમાં પડેલી ઈંટ તેમજ પથ્થર ઉપાડી પત્ની નૂરીબેનના માથાના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા નૂરીબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોતાના હાથે માતાની હત્યા જોઈ ડઘાઈ ગયેલા રાહુલે આસપાસના ખેતરોમાં રહેલા અન્ય ખેત મજૂરોને બોલાવી લાવ્યો હતો
અને સમગ્ર ઘટના અંગે વાડી માલિક તેમજ ગામના આગેવાનોને જાણ કરતા વાડી માલિક તેમજ મહિલા સરપંચના પતિ સહિતના આગેવાનો ખેતરે દોડી આવ્યા હતા અને બનાવ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યારે હત્યારા પતિ કાળુને હત્યાના બનાવથી થોડે દૂર ખેતરમાંથી જ ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યા કર્યા બાદ કાલુ ત્યાં ખેતરમાં જ કપાસ વચ્ચે બેસી ગયો હતો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચતા જ પોલીસે હત્યારા પતિ કાળુને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રૂપિયાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કરપીણ હત્યા કરી દેતા ૩ પુત્રની હાલત કફોડી બની ગઈ છે.