કારના ૯૦ હજારની લેતીદેતીમાં જસદણના યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

રાજકોટ, રાજકોટ જિલ્લાના જસદણમાં આરોપીઓએ મોટરકારના બાકી રહેતા રૂપિયા ૯૦,૦૦૦ની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી. જસદણના કાળાસર ગામના રહેવાસી ધર્મેશભાઈ ધીરુભાઈ મકવાણાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમના નાના ભાઈ લાલજીભાઈ મકવાણા (ઉંમર ૨૮)નું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે.
આ ગુનામાં આરોપી તરીકે અલ્લુ અમરૂ જબલીયા, અજય મંગળુ ભોજક અને સિદ્ધરાજ અલ્લુ ગીડાના નામ આપવામાં આવ્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આલ્કુ અમરુભાઈ જેબલીયાએ એક વર્ષ પહેલાં મૃતક લાલજી મકવાણા પાસેથી રૂપિયા ૧.૪૦ લાખમાં એક ઈકો કાર ખરીદી હતી. તે સમયે તેણે લાલજીને ૯૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા અને બાકીની રકમ કાર તેના નામે થયા પછી આપવાનું નક્કી થયું હતું.
જો કે બાદમાં ખબર પડી કે આ કાર લાલજીના નામે નહીં પરંતુ જીતેન્દ્ર વાઘેલાના નામે છે. આથી તેણે કાર તેના મૂળ માલિકને પરત આપી દીધી હતી.ત્યારબાદ આલ્કુ જેબલીયાએ લાલજી પાસે પોતાના આપેલા રૂપિયા ૯૦,૦૦૦ પરત માંગ્યા હતા.
પરંતુ લાલજી રૂપિયા પરત કરતો ન હતો. આથી, ૨૯/૦૮/૨૦૨૫ના રોજ વહેલી સવારે આલ્કુ જેબલીયા અને અજય ભોજકે તેનું અપહરણ કરી તેને વીરનગરની સીમમાં અજય ભોજકની વાડીએ લઈ ગયા હતા. ત્યાં તેમણે લાલજીને ઝાડ સાથે બાંધી કેબલ વાયરથી માર માર્યાે મારીને પત્ની કિંજલબેનને ફોન કરાવી ૨૦,૦૦૦ની માંગણી કરી હતી.
આરોપી સિદ્ધરાજ ગીડા લાલજીના ઘરે જઈને તેની પત્ની પાસેથી ૨૦,૦૦૦ લઈ આવ્યો હતો. થોડા સમય બાદ આલ્કુ જેબલીયા અને સિદ્ધરાજ ગીડા ફરીથી વાડીએ ગયા ત્યારે તેમણે જોયું કે લાલજીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. બાદમાં તેમણે લાલજીની લાશને મોટરસાયકલ પર લઈ જઈને એક નિર્જન જગ્યાએ ફેંકી દીધી હતી.SS1MS