Western Times News

Gujarati News

૫ મીનીટ દોડવું, ૫ મીનીટ પ્રાણાયામ અને ૫ મીનીટ યોગ કરી મેદસ્વિતાને માત આપો

આ ૧૫ મીનીટનું સુત્ર મેદસ્વીપણાને નિયંત્રિત કરવાની સાથે જીવનમાં શિસ્ત, ઊર્જા અને સંતુલન પણ લાવે છે

દરરોજ ફક્ત ૧૫ મિનિટની યોગ્ય રીતે કરેલી શારીરિક અને માનસિક કસરત એ મેદસ્વીપણાને હરાવવાનો એક ખૂબ જ અસરકારક અને સરળ માર્ગ બની શકે છે. જો આપણે આપણાં દિવસની શરૂઆત ૫ મિનિટની દોડથી કરીએ છીએ, તો તે શરીરનાં ચયાપચયને વેગ આપે છે અને કેલરી બર્નિંગ પ્રક્રિયાને સક્રિય કરે છે. દોડવાથી હૃદયનાં ધબકારા વધે છે, પરસેવો વળે છે અને શરીરમાં સંગ્રહિત ચરબી ધીમે ધીમે ઊર્જામાં પરિવર્તિત થવા લાગે છે. આ થોડીવારનું દોડવું વજન ઘટાડવામાં તો મદદ કરે જ છે, સાથે સાથે આખા દિવસ માટે એનર્જીનો સંચાર પણ કરે છે.

આ પછી જ્યારે આપણે ૫ મિનિટ સુધી પ્રાણાયામ કરીએ છીએ ત્યારે શરીરમાં શ્વાસ અને પ્રાણનું સંતુલન સ્થાપિત થાય છે. ઊંડા અને નિયંત્રિત શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે, જે કોશિકાઓની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને ચયાપચયમાં સુધારો કરે છે. પ્રાણાયામ માનસિક તાણને પણ ઘટાડે છે જે મેદસ્વીપણાનું એક છુપાયેલું કારણ છે. તાણ ઘટાડવાથી ભૂખ નિયંત્રણમાં વધારો થાય છે અને બિનજરૂરી ખાવાની ટેવથી રાહત મળે છે.

છેલ્લે જ્યારે આપણે ૫ મિનિટ યોગ કરીએ છીએ તો તેનાથી શરીરની ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ વધે છે. યોગ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરનાં એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે. કેટલાક યોગ આસનો જેવાં કે તાડાસન, ત્રિકોણાસન અથવા પવનમુક્તાસન ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. યોગ વ્યક્તિને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ ફિટ બનાવે છે, જે વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરે છે.

આમ, આ ૫ મિનિટ દોડવું, ૫ મિનિટ પ્રાણાયામ અને ૫ મિનિટનો યોગ માત્ર મેદસ્વીપણાને જ નિયંત્રિત નથી કરતો, પરંતુ જીવનમાં શિસ્ત, ઊર્જા અને સંતુલન પણ લાવે છે. તેને નિયમિત અપનાવીને વ્યક્તિ પોતાની ફિટનેસની સફર શરૂ કરી શકે છે. ધીમે ધીમે પણ રોજ સવારે આ ૧૫ મીનીટનું સુત્ર અપનાવીને મેદસ્વિતાને માત આપી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.