આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાર્ધશતી સમારોહ માટે PM મોદીને આમંત્રણ

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી અને તેમને આર્ય સમાજની સ્થાપનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનાર સાર્ધશતી સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
પ્રધાનમંત્રીશ્રીએ આ ઐતિહાસિક સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સંમતિ આપી હતી અને તેમણે દેશ – વિદેશમાં આર્ય સમાજના વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય વિશે પણ પ્રતિનિધિમંડળ પાસેથી માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીશ્રીએ શિક્ષણ, સામાજિક સુધારણા અને સંસ્કૃતિની જાળવણી માટે આર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યોએ પ્રધાનમંત્રીશ્રીને છેલ્લા બે વર્ષમાં આર્ય સમાજ દ્વારા સમાજના હિતમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતગાર કર્યા હતા.
આ પ્રતિનિધિમંડળમાં જ્ઞાનજ્યોતિ આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર આર્ય, ડી.એ.વી. મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરી, સાર્વદેશીક સભાન શ્રી પ્રકાશ આર્ય, શ્રી ધર્મપાલ આર્ય, આયોજન સમિતિના અગ્રણી સભ્ય શ્રી વિનય આર્ય, અમેરિકા આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ શ્રી ભુવનેશ ખોસલા, આર્ય સભા મોરિશિયસના પ્રમુખ શ્રી હરિદેવ રામધણી તથા વૈદિક વિદ્વાન ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકર ઉપસ્થિત રહ્યા હતા.