પ્લેઇંગ ઇલેવન માટે લાયક હોવા છતાં સ્થાન ન મળવું નિરાશાજનક: ઐયર

મુંબઈ, ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ મુંબઈના બેટ્સમેન શ્રેયસ ઐયરે પહેલી વાર ખુલીને વાત કરી છે. તેણે સ્વીકાર્યું કે, ટીમમાં સ્થાન મેળવવાને લાયક હોવા છતાં ટીમમાં સ્થાન ન મળવું નિરાશાજનક છે.
શ્રેયસ ઐયરે સ્પષ્ટ કર્યું કે, પરિસ્થિતિ ગમે તે હોય તેનું લક્ષ્ય હંમેશા ટીમને સફળ થતી જોવાનું છે.એક પોડકાસ્ટમાં શ્રેયસે કહ્યું કે, ‘જ્યારે તમને ખબર હોય કે તમે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાને લાયક છો પણ ટીમમાં સ્થાન નથી મળતું ત્યારે તે ખૂબ જ નિરાશાજનક હોય છે. પરંતુ તે જ સમયે જ્યારે તમને ખબર હોય કે કોઈ ખેલાડી ટીમ માટે સતત પ્રદર્શન કરી રહ્યો ત્યારે તમે તેમને ટેકો આપો છો.
આખરે અમારું લક્ષ્ય ટીમની જીત છે. જ્યારે ટીમ જીતે છે, ત્યારે બધા ખુશ થાય છે. જો તમને તક ન મળે તો પણ તમારે ખાતરી કરવી પડશે કે તમે તમારું કામ પ્રામાણિકપણે કરો છો.
એવું નથી કે તમે ફક્ત ત્યારે જ કામ કરો છો જ્યારે કોઈ જોઈ રહ્યું હોય. જ્યારે કોઈ જોઈ રહ્યું ન હોય ત્યારે પણ તમારે તમારું કામ કરતા રહેવું પડશે.’ શ્રેયસને તાજેતરમાં એશિયા કપ માટે ભારતની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આઇપીએલની છેલ્લી સીઝનમાં સારું પ્રદર્શન કરવા છતાં તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે, તેના જેવા મોટા ખેલાડીને રિઝર્વ તરીકે પસંદ કરવો પણ યોગ્ય ન હોત. હવે ૩૦ વર્ષીય ઐયર આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયા છ સામે બે મેચની બિનસત્તાવાર ચાર દિવસીય ટેસ્ટમાં ભારત છનું નેતૃત્વ કરશે.
ઐયરે અન્ય ફોર્મેટમાં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી ફિટ નહોતો ત્યારે તેને છેલ્લી ઘડીએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું અને તેણે કમાલ કરી હતી. કોચ ગૌતમ ગંભીરે સારા પ્રદર્શન પછી ઐયરને ટીમમાં રાખ્યો હતો અને તેણે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યં હતું.SS1MS