ઇઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યાઃ ૭૬ લોકોનાં મોત

ગાઝા, ઇઝરાયેલે યેમેન અને ગાઝામાં ભીષણ હુમલા જારી રાખ્યા છે. યમને મિસાઇલ છોડયા પછી ઇઝરાયેલે કરેલી એરસ્ટ્રાઇકમાં ત્યાં ૩૫ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં ૪૧ના મોત નીપજ્યા છે.
આમ કુલ ૭૬ના મોત નીપજ્યા છે. આટલું ઓછું હોય તેમ ઇઝરાયેલે ગાઝામાં ઓપરેશનનો વ્યાપ વધારતા દસ લાખ ગાઝાવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયેલે યમન પર કરેલા હુમલામાં ૩૫ના મોત થયા છે અને ૧૩૦થી પણ વધુને ઇજા થઈ છે, આ મૃત્યુઆંક વધી પણ શકે છે એમ યમનના હુથી શાસિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હુથી બળવાખોરો ઇઝરાયેલના એરપોર્ટ પર કરેલા સફળ હુમલા પછી ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યાે હતો.
ઇઝરાયેલે યમનની રાજધાની સના પર હુમલો કર્યાે હતો, અહીં મુખ્યત્વે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશન આવેલા છે. ઇઝરાયેલે તેના પર હુમલો કર્યાે હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં કુલ ૪૧ના મોત નીપજ્યા છે. જ્યારે ૧૮૪થી વધારે લોકોને ઇજા થઈ છે.
આમ ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં મૃત્યુ પામનારાઓનો આંકડો ૬૪,૬૦૦ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત યુદ્ધ શરૂ થયા પછી ૪૦૪ ગાઝાવાસીઓ કુપોષણના લીધે મરી ગયા છે અને તેમા ૧૪૧ બાળકોનો સમાવેશ થાય છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતુ કે અમે ઇઝરાયેલ પર હુમલા કરવાના જારી રાખીશું. પેલેસ્ટાઇનના સમર્થનમાં અમારા ઇઝરાયેલ પર હુમલા જારી રહેશે.
તેમણે ઇઝરાયેલને વધુ હુમલાની ચેતવણી પણ આપી હતી. આ દરમિયાન ઇઝરાયેલે દસ લાખની વસ્તી ધરાવતા ગાઝા શહેરને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
તેણે ગાઝાવાસીઓને દક્ષિણે બનાવવામાં આવેલા કેમ્પમાં જવા કહ્યું છે. આ દરમિયાન ઇઝરાયેલે કતારના દોહા પર કરેલા હુમલાને આખા મધ્યપૂર્વના દેશોએ વખોડી કાઢ્યું છે. કતાર અમેરિકાનું સહયોગી મનાય છે અને ત્યાં ઇઝરાયેલના હુમલાથી આખુ આરબ જગત નારાજ થયું છે. તેનાથી મધ્યપૂર્વમાં તનાવ વધી ગયો છે.SS1MS