‘મને સ્ટારડમથી ગભરામણ થવા માંડે છે, ફૅન્સના પ્રતિસાદની આદત નથી: મનોજ બાજપાઈ

મુંબઈ, તાજેતરમાં જ મનોજ બાજપાઈની ફિલ્મ ‘જુગ્નુમા’ રિલીઝ થઈ છે. ત્યારે તેણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે જ્યારે ફૅન્સથી ઘેરાઈ જાય છે, તો તેને ગભરામણ થઈ જાય છે. તેને સ્ટારડમનું પ્રેશર ગમતું નથી. સાથે જ તેણે શાહરુખ, સલમાન આમિર ખાન અને અજય દેવગનની સ્ટારડમ સાથે સરખામણી પણ કરી હતી. મનોજ બાજપાઇ જણાવે છે કે તેને ફૅન્સના ભાવુક પ્રતિસાદની આદત નથી.
તેમણે જણાવ્યું, “હું બસ મારું કામ કરતો રહું છું. ફૅન્સ મારી પાછળ દોડતા હોય, મારો પીછો કરતા હોય, કે મને પૂછતા હોય, કે પછી મને જોઈને રડતા હોય એ માહોલમાં હું ક્યારેય ગયો જ નથી. મને ઓડિયન્સ તરફથી ક્યારેય એવો પ્રતિસાદ મળ્યો જ નથી. હું બસ મારું કામ કરતો રહું છું. કેટલીક બહુ સફળ થઈ, કેટલીક થોડી-ઘણી ચાલી, તો કેટલીક ફિલ્મ લોકોના ધ્યાનમાં પણ ન આવી.
મેં એ રસ્તો જ નથી અપનાવ્યો જે સ્ટારડમ સુધી જતો હોય અને એ ઇરાદાપૂર્વકનો નિર્ણય હતો – મને એવી ફિલ્મ કરવામાં જ મજા આવતી હતી.”આગળ મનોજ બાજપાઈએ જણાવ્યું, કે છેલ્લાં કેટલાંક વર્ષાેથી ઓટીટી પર તેને વિવિધ જોનરનું અને વિવિધ પ્રકારનું કામ કરવા મળે છે.
મનોજે જણાવ્યું, “આજે હું જ્યારે નવા ફૅન્સથી ઘેરાયેલો હોઉં છું, તો મને ગભરામણ થઈ જાય છે, કારણ કે મને તેની આદત નથી. જુઓ, સલમાન, સૈફ, અજય, શાહરુખ, આમિરને તેની આદત છે.
તેમને ૨૫, ૨૬ વર્ષની ઉમરે સ્ટારડમ મળી ગયું હતું. તેમને તો ખબર પણ નથી કે કોઈ ફૅન્સ જ ન હોય તો શું કરવું. એમ મને ફૅન્સની આદત જ નથી. તેથી એ વધારે પડતું લાગે છે – મને મારા અંગત સમયમાં ખલેલ જેવું લાગે છે.’રામ રેડ્ડી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘જુગ્નુમા’, જેમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે, તે ૧૨ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ છે.
૮૦ના દાયકાના અંત દરમિયાનની વાત કરતી આ ફિલ્મમાં દેવ એટલે કે મનોજ બાજપાઈની વાર્તા છે, જે ભારતીય હિમાલયમાં આવેલા તેના ફળ બગીચાઓના વિશાળ એસ્ટેટમાં રહસ્યમય રીતે બળી ગયેલા વૃક્ષોની તપાસ કરે છે. તમામ પ્રયાસો છતાં, વધુ આગ ફાટી નીકળે છે, જેના કારણે તે પોતાને અને તેના પરિવારને ખરેખર કોણ હાનિ પહોંચાડવા માગે છે તે જોવા માટે ખેંચાય છે.SS1MS