બાપુનગર હોસ્પીટલથી શેઠ સી.એલ. સ્કુલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બુધવારે બંધ કરાશે

પ્રતિકાત્મક
‘નમોત્સવ’ કાર્યક્રમ સંદર્ભે બાપુનગર સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વાહન વ્યવહાર અવર-જવર પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું
Ahmedabad, અમદાવાદ શહેરમાં આગામી તા.૧૭/૯/૨૦૨૫ ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ નો કાર્યક્રમ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલાં લોકપ્રિય અને જાણીતા કલાકારોની ઉપસ્થિતિમાં ‘મેગા મ્યુઝીકલ મલ્ટી મીડિયા શો’ થનાર છે. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય નાઓ મંત્રીમંડળ સહીત અન્ય VIPs/VVIPs તથા વધુ પ્રમાણમાં લોકો આ કાર્યક્રમમાં એકત્રિત થનાર છે.
હાલમાં આ કાર્યક્રમની પુર્વ તૈયારી કરવા માટે સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે વધુ પ્રમાણમાં વાહનો તથા હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહેલ હોય અને આ જગ્યા ખાતે ટ્રાફિકનું સંચાલન સરળ રીતે ચાલે તે હેતુસર નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
હું, જી.એસ.મલિક,IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા. ૧૭/૯/૨૦૨૫ ના રોજ બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે ‘નમોત્સવ’ નો કાર્યક્રમ કરવામાં આવનાર હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
બાપુનગર જનરલ હોસ્પીટલ થી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ.સ્કુલ । ત્રણ રસ્તા) સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
૧. સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલથી રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે.
૨. પ્રકાશ પેટ્રોલ પંપ થી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.
૩. લા.બ.શા.સ્ટેડીયમ થી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થી ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઈ શકાશે.
અપવાદ: સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૫/૯/૨૦૨૫ ના કલાક ૧૪.૦૦ થી તા.૧૭/૯/૨૦૨૫ ના રોજ કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.