બિહારમાં વડાપ્રધાન મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો

ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ-આરજેડીના નેતાઓઃ મોદી
(એજન્સી)પટણા, બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમોગ્રાફીનો મુદ્દો ઉઠાવ્યો છે. વડાપ્રધાન મોદીએ સોમવારે (૧૫ સપ્ટેમ્બર) પૂર્ણિયાથી રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે, ઘૂસણખોરોને કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ બચાવે છે.
જે કોઈ ઘૂસણખોર છે તેને બહાર જવું પડશે. જેમાં ઘૂસણખોરીને રોકવાની આરજેડીની દ્રઢ જવાબદારી છે. જે નેતાઓ ઘૂસણખોરો માટે મેદાનમાં છે, તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ ઘૂસણખોરોએ બહાર જવું પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ભારતનો કાયદો ચાલશે, ઘૂસણખોરોની મનમાની ચાલશે નહીં. ઘૂસણખોરી સામે એક્શન લેવાશે અને દેશ તેનું યોગ્ય પરિણામ જોશે. કોંગ્રેસ અને આરજેડીએ બિહારના સન્માન સાથે-સાથે બિહારની અસ્મિતાને પણ જોખમમાં નાખી છે.
જેમાં બિહાર, બંગાળ, આસામ સહિત અનેક રાજ્યના લોકો પોતાની બહેન-દીકરીની સુરક્ષાને લઈને ચિંતામાં છે. એટલા માટે મેં લાલ કિલ્લાથી ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી છે.
ઘૂસણખોરોને બચાવનારાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વોટ બેંક માટે કોંગ્રેસ, આરજેડી અને તેની ઇકોસિસ્ટમના લોકો ઘૂસણખોરોની હિમાયત કરવામાં, તેમને બચાવવામાં અને બેશરમીથી વિદેશથી આવેલા ઘૂસણખોરોને બચાવવા માટે સૂત્રોચ્ચાર કરીને યાત્રાઓનું આયોજન કરવામાં વ્યસ્ત હોય છે. આ લોકો બિહાર અને દેશના સંસાધનો અને સુરક્ષા બંનેને દાવ પર લગાવવા માગે છે.