મોંઘવારીઃ ચોળી ૨૦૦ રૂપિયા કિલો-ગુવાર ૧૫૦ રૂપિયા કિલો

(એજન્સી)અમદાવાદ, શાકભાજી માર્કેટને મોટું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદમાં શાકમાર્કેટમાં અચાનક ગ્રાહકોની ભીડ ઓછી થવા લાગી છે, જેની પાછળનું કારણ એ છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
એક સમયે ૨૦ રૂપિયા કિલો મળતું શાક તો ૧૨૦ રૂપિયા કિલો મળવા લાગે તો શું થાય? માર્કેટમાં ઘરાકી ઓછી અને વેપારીઓને તંગદિલી જોવા મળે. આવો જ ઘાટ સર્જાયો છે અમદાવાદના શાકમાર્કેટમાં.
માર્કેટમાં મહિલાઓ આવે છે, શાકના ભાવ પૂછે છે અને પછી ૧૦૦ રૂપિયા કિલો ભાવ જોતાં માત્ર ૨૫૦ ગ્રામ કે ૫૦૦ ગ્રામ શાકની ખરીદી કરે છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ૧૦૦ ટકા વધારો થયો છે. રીંગણા, ચોળી, પાપડી, તુવેર, ગુવાર જેવાં શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાથી વધારે છે, જેને કારણે લોકોનાં બજેટ પર અસર પડી રહી છે.
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ઃ ચોળી ૨૦૦ રૂપિયા કિલો, કોબીજ ૬૦ કિલો, ફુલાવર ૧૨૦ રૂપિયા કિલો, ભીંડા ૮૦ રૂપિયા કિલો, ગુવાર ૧૫૦ રૂપિયા કિલો, પરવળ ૧૨૦ રૂપિયા કિલો, તુરિયા ૧૦૦ રૂપિયા કિલો, દૂધી ૭૦ રૂપિયા કિલો, પાપડી ૧૫૦ રૂપિયા કિલો, રીંગણા ૧૦૦ રૂપિયા કિલો, કારેલાં ૮૦ રૂપિયા કિલો, ટિંડોળા ૨૪૦ રૂપિયા કિલો.
૨૦ ઓગસ્ટ ૨૦૨૫, જ્યારે એક મહિના પહેલાં આ જ શાકના ભાવઃ ચોળી ૬૦ રૂપિયા કિલો, કોબીજ ૨૦ રૂપિયા કિલો, ફુલાવર ૬૦ રૂપિયા કિલો, ભીંડા ૬૦ રૂપિયા કિલો, ગુવાર ૬૦ રૂપિયા કિલો, પરવળ ૮૦ રૂપિયા કિલો, તુરિયા ૫૦ રૂપિયા કિલો, દૂધી ૪૦ રૂપિયા કિલો, પાપડી ૭૦ રૂપિયા કિલો, રીંગણા ૪૦ રૂપિયા કિલો, કારેલાં ૪૦ રૂપિયા કિલો, ટિંડોળા ૧૦૦ રૂપિયા કિલો.
વેપારીઓનું કહેવું છે કે. ભારે વરસાદના કારણે માલની આવક ઓછી થઈ અને તેને લઈને ભાવમાં મોટો વધારો છે. ગૃહિણીઓને આશા છે કે શિયાળા સુધી અમદાવાદમાં શાકભાજીના ભાવ ઘટી જશે. જ્યારે વેપારીઓના મતે વરસાદની સ્થિતિ નબળી પડતાં ધીમે ધીમે ભાવમાં ફરક આવતાં નવરાત્રિ સુધી ભાવ ઘટવાની આશા છે.