દિવાળીના તહેવાર દરમિયાન GSRTC એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે

File Photo
જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ –એસ.ટી નિગમ દ્વારા માત્ર સુરત શહેરથી જ વિવિધ શહેરો માટે સૌથી વધુ ૧૬૦૦ એક્સ્ટ્રા બસોનું આયોજન
Gandhinagar, રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા મોટા શહેરોને જોડતી દૈનિક કુલ ૨૬૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવશે .જેનો રાજ્યના અંદાજે પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ મળશે તેમ, ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. મુસાફરોને દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ,ઉત્તર ગુજરાતના રત્નકલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે ૧૬૦૦ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર જવા માટે મુસાફરોએ સુરત શહેરના રામચોક અને મોટા વરાછા ખાતેથી એસ.ટી બસ મળશે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત દાહોદ તથા પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત શહેરી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસ મળી રહેશે.
દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત વિભાગ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગો મળી મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે ૧,૦૦૦ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ, મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને “એસ.ટી. આપના દ્વારે” યોજના અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.