UPના સુલતાનપુરથી ધરપકડ કરવામાં આવી ગાંધીનગરની મહિલા પોલીસકર્મીના હત્યારાની

મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો: પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો
(એજન્સી) અમદાવાદ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા ૧૫ વર્ષથી અંગત સંબંધો હતા. મોહન પારગી પરિણીત છે અને તેને ૪ વર્ષનું બાળક પણ છે. ૨૦૧૫માં તેના લગ્ન થયા હતા. રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર નહોતો.
આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મોહન પારગી ગાંધીનગરથી ફરાર થઈને તેના વતન અમરેલી ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ઝડપી પાડ્યો છે. મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ શારિરીક સંબંધ અંગેની માહિતી બહાર આવશે તેમ એસ.પી.એ જણાવ્યું હતું.
આ ઉપરાંત, પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ લવ જેહાદના એક કેસ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છત્રાલનો ૨૨ વર્ષનો રફીક નામનો યુવક ૧૬ વર્ષની એક સગીરાને ભગાડી ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેનું લોકેશન પહેલા મુંબઈ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશનું મળ્યું હતું. યુપી પોલીસની મદદથી રફીકની સુલતાનપુરથી ધરપકડ કરવામાં આવી છે.