ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ઈયળના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર

પ્રતિકાત્મક
*ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર*
ખેડૂતો પોતાના ઊભા પાકને રોગ-જીવાતથી બચાવી સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે, તે માટે રાજ્યની તેલિબીયા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે વિવિધ રોગ-જીવતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં દિવેલાના ઉભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા વિવિધ પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
*દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા*
• કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.
• ખેતરમાં દિવેલાની ઘોડીયા ઈયળની ફૂદીઓની હાજરી જણાતા ટ્રાયકોગામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારું પરિણામ મળે છે.
• ઘોડિયા ઈયળના ફૂદાં આકર્શી નાશ કરવા પ્રકાશપિંજર રાત્રી સમયે ગોઠવવા.
• ઘોડિયા ઇયળની નર ફુદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮-૧૦ પ્રતિ હેક્ટરે વાવણી બાદ ખેતરમાં ગોઠવવા તથા તેની ટોટી (લ્યુર/સેપ્ટા) ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે બદલતા રહેવું. ઘોડીયા ઇયળો જોવા મળે ત્યારે બેસીલસ થુરેંન્જીનેંસીસ રોગપ્રેરક જીવાણુંનો ૩૦ ગ્રામ પાવડરને ૧૦ લીટર પાણી સાથે સાંજના સમયે છંટકાવ કરવો.
• દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય કીટકભક્ષી પક્ષીઓ જેવા કે, મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૫૦ ટેકા પ્રતિ હેકટરે મુકવા. એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઇયળ એકમ દ્રાવણને ૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઈયળોમાં રોગ લાગુ પડતા સારૂ નિયંત્રણ મળે છે.
• પાકમાં સ્થાનિક જીવાતો એન્ડેમિક પેસ્ટનો વધુ ઉપદ્રવ જણાયે તો આપના કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાકના ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતોને તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવાનો રહેશે.