જેના નામે દારૂબંધી એ જ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં જ ૧,૧૦૦ લોકો પાસે પરમીટ !

પ્રતિકાત્મક
દારૂ પરમીટ મુદ્દે પોરબંદર ટોપ-૧૦માં અગાઉ ૨,૨૦૦ લોકો પાસે હતી
પોરબંદર, લીકર પરમીટ કઢાવવા અને રિન્યુ કરાવવામાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા યુનિટ દીઠ ભાવમાં ૫ ગણો વધારો કરવામાં આવતા છેલ્લા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યા અડધી થઈ છે.
જેમના નામ પર સમગ્ર રાજ્યમાં દારૂબંધીની નીતી અમલમાં છે તે મહાત્મા ગાંધીજીની ૨ ઓકટોબરે જન્મજયંતી છે. ત્યારે તેઓના જન્મસ્થળ પોરબંદરમાં ગાંધીજીની દારૂબંધીની નીતિને સફળતા મળી હોય તેમ દારૂના પરમીટ ધારકોની સંખ્યા બે વર્ષમાં અડધી થઈ છે. ૨ વર્ષ પૂર્વે ૨૨૦૦ થી વધુ લોકો નશાબંધી ખાતાની આરોગ્ય પરમિટ વર્ષોથી ધરાવતા હતા
અને ફેમિલી ડોકટરની સલાહ મુજબ આલ્કોહોલનું સેવન કરી આરોગ્ય સારૂ રાખતા હતા. આ પરમીટ કઢાવવા કે રિન્યુ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવાનું હોય છે. જે કરતા પૂર્વે નશાબંધી ખાતામાં રૂ.૪૦૦૦ ફી ભરવાની હોય છે.
ત્યારબાદ અરજદારનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ કરવામાં આવે છે.જેમાં સરકારી ફી ઉપરાંત વધારાની સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની દાન તરીકે એક યુનિટે રૂ.૨૦૦૦ લેખે અરજદારો ચાર યુનિટના આઠ હજાર આપતા હતા પરતં બે વર્ષ પૂર્વે સમીતીએ આ દાન ધરખમ વધારો કર્યો હતો.
જેમાં એક યુનિટના ૨ હજારની જગ્યાએ ૧૧ હજાર કર્યા હતા અને જેથી ૪ યુનિટના રૂ.૪૪ હજાર છે અને તમામ ખર્ચ મળી ૪ યુનીટના રૂ.૫૬ હજાર જેટલો ખર્ચ થાય છે. આથી કોઈ નવી પરમીટ તો કઢાવતું જ નથી બીજી તરફ પરમિટ રિન્યુ કરવામાં પણ ધરખમ ભાવ વધારો થયો છે.
જેમાં અગાઉ ૪ યુનિટની પરમી રીન્યુ કરાવવા માટે રૂ.૪ હજાર રોગી કલ્યાણ સમિતિમાં ભરવાના હતા તેના સ્થાને બે વર્ષથી ૪ યુનિટની પરમિટ રિન્યુ કરવા પણ રૂ.૨૪ હજાર જેટલી માતબર રકમ ખર્ચવી પડે છે. આ ભાવ વધારાના કારણે છેલ્લા બે વર્ષમાં અડધા લોકોએ પોતાની હેલ્થ પરમીટ રદ કરાવી છે હાલ માત્ર ૧૧૦૦ પરમીટ ધારકો જ રહ્યા છે.