RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય બનાવ્યું :- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
*અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ:- મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની*
*ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેના વીડીયોની પ્રસ્તુતી*
કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NFSU કેમ્પસ- ગાંધીનગર ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્યના માનનીય મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી આયોગની ટીમે RTIના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનુ રાજ્ય બન્યું છે.
વધુમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્વ. શ્રી અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act –૨૦૦૫ બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે. ૫૦૦-૧૦૦૦ કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે. આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહીને અગ્રેસર કામગીરી કરી રહી છે.
સુરત જિલ્લામાં ફફ્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સો સામે ૮૫ થી વધારે કેસો કરીને ૧૦૫ લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં ૧૨ જેટલા કેસો માત્ર ૧૫ દિવસમાં કરવામાં આવ્યા હતા. આ ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌ પ્રથમ કાર્ય ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. આ કાયદો લોકોના હિતમાં બનવવામાં આવેલો કાયદો છે કોઈ આર.ટી.આઈ એજન્ટોના હિતમાં બનાવવામાં આવેલો કાયદો નથી તેમ શ્રી સંઘવીએ કહ્યું હતું.
વધુમાં શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત એવું પહેલું રાજ્ય હશે જ્યાં વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RTIના નામનો ઉપયોગ કરીને આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું કામ ગુજરાત માહિતી આયોગે કર્યું છે આ ઉત્તમ કામગીરી કરવા બદલ હું ગુજરાત માહિતી આયોગની ટીમને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈ સપ્તાહ અંતર્ગત આજે દેશ – દુનિયામાં કેટલાક નાગરિકો ગુજરાત માહિતી આયોગની સોશિયલ મીડિયા ચેનલોથી જોડાઈને આર.ટી.આઈ કાયદાની સમજણ લઇ રહ્યા છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. નાગરિકોને તેમના કેસની સુનાવણીની જાણ ઈમેલ અને ફોન કરીને કરવામાં આવે છે. આ પ્રકારની પારદર્શક કામગીરીથી દેશના અન્ય માહિતી આયોગ ગુજરાત પાસેથી પ્રેરણા લઇ રહ્યા છે.
ગુજરાત માહિતી આયોગની વેબસાઇટને નવીનીકરણ કરીને વધુ પ્રજાલક્ષી બનાવવા આવ્યું છે. આ વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા, અધિનિયમ તેમજ રાજ્ય સરકારની સૂચનાઓ મુકવામાં આવે છે. નાગરિકોને RTIને લગતી માહિતી મળી રહે તે પ્રકારની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા એક વર્ષમાં ૨ લાખથી વધુ નાગરિકો વેબસાઇટની મુલાકાત લઈને RTI વિશે માહિતગાર થયા છે તેમ શ્રી સોનીએ જણાવ્યું હતું.
વધુમાં શ્રી સોનીએ ઉમેર્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા ૧.૪૦ લાખથી વધુ અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યારે માત્ર ૧૨૦૦ અપીલ પેન્ડીંગ છે. આજે ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર ૬૦-૯૦ દિવસમાં અપીલનો નિર્ણય કરવામાં આવે છે. આ ઝડપી અપીલનું નિર્ણય કરનાર ગુજરાત રાજ્ય માહિતી આયોગ પ્રથમ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અધિનિયમની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ નહિ કરતા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને સુધારણા તેમજ સમજણ માટે એક તક આપવામાં આવે છે. જો જરૂર જણાય તો તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, આયોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં ૫૦૦ જેટલા કેસોમાં જાહેર માહિતી અધિકારીઓને રૂ.૪૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય માહિતી કમિશનર શ્રી સુબ્રમણિયમ ઐયર, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી નિખિલભાઈ ભટ્ટ, શ્રી વિપુલ રાવલ, શ્રી ભરત ગણાત્રા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, નાગરિક સંગઠનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વર્ચ્યૂઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં.