Western Times News

Gujarati News

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ થયો

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં જુદી જુદી થીમના દુર્ગા પૂજા પંડાલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાંથી એક પંડાલની થીમના કારણે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં પણ આ થીમની ભારે ટીકા થઈ છે. કોલકાતામાં એક દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદની વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ થીમ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને તેને પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું હતું.આ પંડાલના સોશિયલ મીડિયામાં મૂકાયેલા વીડિયો અને ફોટો બાદ વિવાદ થયો હતો. દુર્ગા પૂજા પંડાલના વીડિયો પરથી જણાય છે કે થીમ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના પર છે. વિમાનનો કાટમાળ બિલ્ડિંગમાં તૂટી પડ્યો એ ઘટનાને પંડાલની થીમમાં બતાવવામાં આવ્યું છે.

લોકોએ આ વીડિયો જોઈને લખ્યું કે કળાની અભિવ્યક્તિ અને સંવેદનશીલ બાબતોનો ભેદ સમજવો જરૂરી છે.તેનાથી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે અપમાન થયું છે. વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભરાય એવો ઘાવ આપ્યો છે.

એની થીમ બનાવવી તેમાં કળાની અભિવ્યક્તિ નથી. આમાં તો અસંવેદનશીલતા દેખાય છે.વિવાદ વધતા આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તૂટેલું એરક્રાફ્ટ અને કાટમાળની થીમ મૃતકોને અંજલિ આપવા માટે બનાવવામાં આવી છે.

વળી, જેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એ જવાનોને પણ આમાં ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ છે. જોકે, લોકોએ આ દલીલને માન્ય રાખી ન હતી અને આવી હરકતને શરમજનક ગણાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.