અમદાવાદમાં બાવન ગામ કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલનું નિર્માણ કરશે

પ્રતિકાત્મક
અમરેલી ખાતે મળેલી બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી,ગોંડલ સહિત બાવન ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા
અમરેલી, બાવન ગામ કડવા પાટીદાર સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જાય છે. પરંતુ હાલમાં અમદાવાદ જેવા શહેરોમાં હોસ્ટેલની પૂરતી અને સગવડભરી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાને કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ત્યારે બાવન ગામના કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓની આ સમસ્યાનો સ્થાયી અને કાયમી ઉકેલ લાવવા માટે અમરેલી ખાતે કડવા પટેલ સમાજ,અમરેલી વિસ્તાર કડવા પટેલ જ્ઞાતિ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા અને શ્રી ઉમિયા મંદિર ટ્રસ્ટ લીલીયાના પ્રમુખ બાબુભાઇ ધામતના પ્રમુખ સ્થાને એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અમદાવાદ, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા, ગોંડલ તથા અન્ય શહેરોમાંથી ઉદ્યોગપતિઓ, દાતાઓ સહિતનાની ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે હોસ્ટેલ વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ વજુભા ગોલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે હાલમાં બાવન ગામ કડવા પાટીદાર સમાજના ૧૮૦ થી૧૯૦ દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે અમદાવાદમાં રહે છે.
જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સગવડતા મળતી ન હોવાને કારણે તેઓ અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા કાયમી ઉકેલ માટે શિક્ષણના હબ સમાન અમદાવાદમાં નવી હોસ્ટેલ નિર્માણ માટેનો પ્રસ્તાવ સાથે પોતાના મંતવ્ય રજુ કર્યુ હતું.
અગ્રણી સામાજીક આગેવાન, ઉદ્યોગપતિ વિનુભાઈ વેકરીયા, ડી.કે.સુરાણી વગેરેએ પોતાના વિવિધ સકારાત્મક સુચનો સાથે મંતવ્યો રજુ કરી સવેળા હોસ્ટેલ નિર્માણની કામગીરીમાં આગળ વધવા જણાવ્યું હતું. સાંપ્રત સમયની માંગ અનુસાર રૂ. ૨૫ કરોડના ખર્ચે અમદાવાદમાં ૫૦૦ વિદ્યાર્થી ભાઈઓ – બહેનો રહી શકે તે માટે હોસ્ટેલ નિર્માણ કામગીરી શરુ કરવા જણાવ્યું હતું.