વડોદરા સહિત ચાર રાજ્યોના રેલવે પ્રોજેક્ટસ ૪ અને ૬ લેન બનાવાશે

પ્રતિકાત્મક
(એજન્સી) નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી કેબિનેટની બેઠકમાં ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “સાત રેલ્વે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો ૪૧ ટકા હિસ્સો ધરાવે છે. અમે તાજેતરમાં આ કોરિડોરને મજબૂત બનાવવા અને વધુ જોડવા માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે હવે આ કોરિડોરને ચાર લેન અને શક્્ય હોય ત્યાં છ લેન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ધા-ભુસાવલ વચ્ચે ત્રણ લેન અને ચાર લેન રેલ્વે લાઇન માટે મંજૂરી, કુલ ૩૧૪ કિમી (મહારાષ્ટ્ર), ગોંડિયા-ડોંગરગઢ વચ્ચે ચાર લેન રેલ્વે લાઇન માટે મંજૂરી, કુલ ૮૪ કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ)
વડોદરા-રતલામ વચ્ચે ત્રણ લેન અને ચાર લેન રેલ્વે લાઇન માટે મંજૂરી, કુલ ૨૫૯ કિમી અંતર. (ગુજરાત અને મધ્યપ્રદેશ) ઈટારસી-ભોપાલ-બિનાલ વચ્ચે ચાર-લાઈન રેલ્વે માટે મંજૂરી, જે કુલ ૨૩૭ કિમીનું અંતર કાપશે. (મધ્યપ્રદેશ)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “જેમ જેમ વધુ રેલ્વે પ્રોજેક્ટ આવી રહ્યા છે, તેમ તેમ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટી રહ્યો છે. આપણા જેવા ઘણા દેશોએ, તેમની વસ્તી અને અર્થતંત્ર સાથે, રેલ્વે પર ભાર મૂક્્યો છે કારણ કે તે પર્યાવરણને અનુકૂળ છે અને ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.”
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ રાજ્યોના ૧૮ જિલ્લાઓને આવરી લેતા આ ચાર પ્રોજેક્ટ્સ, ભારતીય રેલ્વેના હાલના નેટવર્કને આશરે ૮૯૪ કિમી સુધી વિસ્તૃત કરશે. કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે ૮૫.૮૪ લાખની વસ્તી ધરાવતા આશરે ૩,૬૩૩ ગામડાઓ અને બે જિલ્લાઓ (વિદિશા અને રાજનાંદગાંવ) સાથે કનેક્ટિવિટી વધારશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમે લોકોમોટિવના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અમે દર વર્ષે ૧,૬૦૦ લોકોમોટિવનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ અને ઉત્તર અમેરિકાના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે. અમે દર વર્ષે ૭,૦૦૦ કોચનું ઉત્પાદન કરી રહ્યા છીએ, જે યુરોપ, ઉત્તર અમેરિકા અને જાપાનના સંયુક્ત ઉત્પાદન કરતા વધુ છે.’