Western Times News

Gujarati News

સુસાઇડ કેપિટલ બનતાં સુરતમાં આત્મહત્યાના ૪ બનાવમાં ૪નાં મોત

સુરત, વેપાર ઉદ્યોગની નગરી ગણાતા સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ સતત વધતી રહી છે. સોમવારે પણ વધુ ચાર ઘટનામાં ચાર લોકોએ અકાળે મોતને વ્હાલું કરી લીધું હતું. લસકાણામાં તરુણે ફાંસો ખાધો હતો, પાંડેસરામાં શાકભાજીના વેપારીએ, લિંબાયતમાં ૨૪ વર્ષની યુવતી અને સરથાણામાં ઇલેક્ટ્રિસ્યનેને જીવ ટૂંકાવ્યો હતો.

પહેલી ઘટનામાં મૂળ બિહાર અને હાલ લસકાણા ડાયમંડ નગરમાં ૧૪ વર્ષીય વિકાસ લક્ષ્મણ રાય એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતો હતો. વિકાસ થોડાક સમય પહેલા જ વતનથી રોજીરોટી માટે સુરત આવ્યો હતો.

ગઈકાલે બપોરે વિકાસે ઘરે રૂમમાં છતમાં લોખંડની એંગલ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજી ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશ ભદોઇના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં બાલાજી નગરમાં રહેતા ૨૧ વર્ષીય સુશીલકુમાર રામદુલાર યાદવ શાકભાજી વેચવાનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો.

ગઈકાલે સાંજે સુશીલકુમારે ઘરે લાકડાના મોભ સાથે ગમછો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સુશીલકુમારે આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

ત્રીજી ઘટનામાં લિંબાયત મીઠી ખાડી નજીક આવેલ ફૂલવાડી સ્થિત એક મકાનમાં ૨૪ વર્ષીય ગુલબ શા અશરફ અંસારીને પરિવાર સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. તેનું માઠું લાગી આવતા ગઈકાલે સાંજે તેણે લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ચોથી ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશ જોનપુરના વતની અને હાલ સરથાણા વ્રજ ચોક નજીક કૃષ્ણનગરમાં રહેતા ૨૫ વર્ષીય સંતોષ ધર્મરાજ પટેલને પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આજે સવારે પણ સંતોષનો પત્ની સાથે ઝઘડો થતાં પત્ની સંબંધીના ઘરે જતી રહી હતી. સંતોષે ગુસ્સામાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.