100 થી વધુ શહેરોના મેયર, કમિશનર ‘ મેયોરલ સમિટ’માં ભાગ લેવા અમદાવાદ આવશે

અમદાવાદમાં નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયોરલ સમિટ યોજાશે-કોન્ક્લેવમાં ભારતના ૧૦૦થી વધુ શહેરોના મેયર, કમિશનર તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહેશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગામી ૧૫ અને ૧૬ ઓક્ટોબરના રોજ ‘ નેશનલ અર્બન કોન્ક્લેવ’ તેમજ ‘ મેયોરલ સમિટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહી છે. આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચારવિમર્શ કરશે.
CM Bhupendra Patel addresses the National Urban Conclave and Mayoral Summit 2025 in Ahmedabad, organized by the Ahmedabad Municipal Corporation to mark Sardar Vallabhbhai Patel’s 150th birth anniversary
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોહ પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે મજબૂત અને અખંડ ભારતનો પાયો નાખ્યો હતો. આપણા સૌ માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે, પટેલ ૧૯૨૪ થી ૧૯૨૮ સુધી અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી,
જ્યાં તેમણે નાગરિક વહીવટ, સ્વચ્છતા અને શહેરી આયોજનની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને શહેરના ભાવિ વિકાસ માટે પાયાની કામગીરી કરી હતી. ભારતનું માન્ચેસ્ટરથી લઈને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી બનવા સુધી અમદાવાદ આજે વારસો, નવીનતા અને ટકાઉ શહેરી વિકાસનું ગતિશીલ મિશ્રણ દર્શાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેર એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન (બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રો) સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, શહેરી હરિયાળી, સાંસ્કૃતિક અને રમતગમતની માળખાગત સુવિધાઓ અને વિશ્વ કક્ષાની નાગરિક સુવિધાઓ જેવી માઇલસ્ટોન પહેલ હાથ ધરી છે.
આ બે દિવસીય કોન્ક્લેવ ૧૫ અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ હોટેલ તાજ સ્કાઇલાઇન ખાતે યોજાશે. આ કોન્ક્લેવમાં ભારતના ૧૦૦થી વધુ શહેરોના મેયર, કમિશનર તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહેશે.