અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને ‘સંરક્ષા પુરસ્કાર’થી સન્માનિત કરાયા

અમદાવાદ રેલવેના સંચાલનમાં સંરક્ષા (સલામતી) સર્વોપરી હોય છે, અને તેને સુનિશ્ચિત કરવામાં દરેક કર્મચારીની સતર્કતા અને તત્પરતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) શ્રી વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને સલામતી પ્રત્યેના સમર્પણ માટે સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા. આ પુરસ્કારો સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ફરજ દરમિયાન સતર્કતા દર્શાવવા અને સંભવિત અકસ્માતોને સમયસર ટાળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા હતા.
શ્રી અજય કુમાર જૈસવાલ સાબરમતી સ્ટેશન પર રાત્રે ૨૨:૦૦ થી સવારે ૦૬:૦૦ વાગ્યાની શિફ્ટમાં ફરજ પર હતા. સવારે ૦૪:૫૦ વાગ્યે જ્યારે એક ટ્રેન ડાઉન દિશામાં સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઑલ રાઇટ એક્સચેન્જ દરમિયાન શ્રી જૈસવાલે ટ્રેનના પાછળના લોકો નંબર ૭૦૫૭૨ માં આગની જ્વાળાઓ જોઈ.
તેમણે તાત્કાલિક સતર્કતા દાખવીને લોકો પાયલટને લાલ ભયનો સંકેત (Red Danger Signal) બતાવ્યો, જેના પરિણામે લોકો પાયલટે ડાઉન સ્ટાર્ટર ૫-૩૯ પહેલા જ ટ્રેનને રોકી દીધી. નિરીક્ષણ કરવા પર જાણવા મળ્યું કે બ્રેક બ્લોક જામ થઈ ગયો હતો, જેના કારણે વધુ પડતી ગરમીને લીધે આગ લાગી હતી.
લોકો પાયલટ દ્વારા બ્રેક બ્લોક રિલીઝ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી અને ૦૫:૧૫ વાગ્યે લોકોમોટીવને ફિટ જાહેર કરવામાં આવ્યું. શ્રી જૈસવાલની સમયસરની કાર્યવાહી અને સતર્કતાથી એક મોટી સંભવિત દુર્ઘટના ટળી શકી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ.
શ્રી અરવિંદ પટેલ પાલનપુર ખંડમાં લેવલ ક્રોસિંગ ગેટ નંબર ૩૧, ૩૫ અને ૩૬ પર આરજી ગેટમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ તેઓ સમપાર ફાટક નંબર ૩૫ ‘C’ પર ડ્યુટી પર હતા. તે સમયે, પાલનપુર-ભીલડી ખંડમાં અપ લાઇન પર માલગાડી ૧૬:૨૨ વાગ્યે ફાટક પરથી પસાર થઈ. માલગાડીના બે ભારે ટ્રેન પાર્ટ્સ તૂટીને લટકતા હતા અને સમપાર ફાટકના ચેક રેલમાં લાગેલા લાકડાના ગુટકા સાથે ટકરાઈને ફાટક પર પડ્યા.
શ્રી પટેલે તાત્કાલિક સતર્કતા દાખવીને વરિષ્ઠ અનુભાગ ઇજનેર (રેલવે ટ્રેક) પ્રભારી શ્રી શિવરાજ સિંહને જાણ કરી. ત્યારબાદ તેમણે કંટ્રોલ, TI–PNU અને BLDI, DEN (N) ADI અને ADEN–PNU ને પણ માહિતી આપી. ચંડીસર સ્ટેશન પર ટ્રેનને રોકાવીને C&W (કોચિંગ અને વેગન) વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં ખામીયુક્ત ડબ્બાને ‘આઇસોલેટ’ (અલગ) કરીને ટ્રેનને સુરક્ષિત રીતે આગળ વધારવામાં આવી. શ્રી અરવિંદ પટેલની ત્વરિત માહિતી અને સતર્કતાને કારણે સંભવિત અકસ્માતને સમયસર અટકાવી શકાયો.
પશ્ચિમ રેલવેને તેના આવા કર્તવ્યનિષ્ઠ અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ તેમના સમર્પણ, અનુશાસન અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી રેલવેની સલામતી સંસ્કૃતિને મજબૂત બનાવે છે.