પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંધાર પર હવાઈ હુમલો કર્યો

કાબુલ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધારે ઉગ્ર બની રહ્યો છે. અફઘાનના તાલિબાની લડવૈયાઓએ બે સૈન્ય ચોકી અને નાગરિક વિસ્તારો પર આક્રમણ કર્યું હોવાના દાવા સાથે પાકિસ્તાને કંધાર પર હવાઈ હુમલા કર્યા હતા. કંધહારમાં ઓચિંતા હવાઈ હુમલાથી નાસભાગ મચી હતી. બંને પક્ષે સૈનિકો અને નાગરિકો સહિત ૫૦થી વધુ મોત થયા છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સંઘર્ષ શરૂ થયાના કેટલાક કલાકો બાદ પાકિસ્તાને કંધાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા.પાકિસ્તાની સૈન્યના જણાવ્યા મુજબ, તાલિબાનોએ પાકિસ્તાનની દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ સરહદે બે સૈન્ય ચોકીઓ પર આક્રમણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ કંધાર પ્રાંતની દક્ષિણે આવેલી સ્પિન બોલ્ડાક સરહદે બુધવારે સવારે હુમલા કર્યા હતા.
પાકિસ્તાને સૈનિકોના બદલે સામાન્ય નાગરિકોને નિશાન બનાવતાં ગામડાંઓ પર હુમલા કર્યા હતા. પાકિસ્તાની સેનાના અંદાજ પ્રમાણે પૂર્વપશ્ચિમ સરહદે રાતભર ચાલેલી અથડામણમાં ૩૦ મોત થયા છે. બંને દેશ વચ્ચે સરહદ પર ઘર્ષણમાં ૧૫ નાગરિકોનાં મોત થયા છે અને ૧૨થી વધુ ઘાયલ થયાં છે. પાકિસ્તાને ૪૮ કલાકનો શસ્ત્ર વિરામ જાહેર કર્યાે છે.
પાકિસ્તાની સરકારના દાવા મુજબ, તાલિબાનોની વિનંતી બાદ બુધવારે સાંજે ૬ વાગ્યાથી ૪૮ કલાક માટે શસ્ત્રવિરામ જાહેર કરાયો છે. જ્યારે અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યુ હતું કે, શસ્ત્ર વિરામ માટે પાકિસ્તાને વિનંતી કરી હતી, જેના પગલે બુધવારે સાંજે ૫.૩૦ બાદ તેનો અમલ શરૂ થયો છે.
અફઘાન-પાકિસ્તાન સંઘર્ષ માટે ભારતને જવાબદાર ઠેરવવા માટે ચીનના વિશ્લેષકો જોર લગાવી રહ્યા છે. ચીનના રાજકીય વિશ્લેષકોએ દાવો કર્યાે છે કે, તાલિબાનો સાથે ભારતની વધતી નિકટતા આ સંઘર્ષ માટે જવાબદાર છે.
ચીનના ઓનલાઈન પ્લેટફોર્મ પર દાવા થઈ રહ્યા છે કે, તાલિબનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકીની ભારત મુલાકાત બાદ બંને દેશ વચ્ચે સરદ પર સંઘર્ષ થયો છે. ભારતીય ઉપખંડમાં કોઈપણ રાજકીય-સૈન્ય કટોકટી માટે ભારતને જવાબદાર ઠેરવવા માટે ચીન દર વખતે પ્રયાસ કરે છે અને આ વખતે પણ ચીનને ભારતનો જ વાંક દેખાયો છે.SS1MS