આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે ગ્રામિણ ડાક સેવકઃ કેન્દ્રીય સંચાર મંત્રી
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર ખાતે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના ગ્રામિણ ડાક સેવકોનુ સંમેલન યોજાયું
(માહિતી) રાજપીપલા, કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર જીઇઁ ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું.
કેન્દ્રીય મંત્રીશ્રીનું એકતાનગર ખાતે આગમન થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા તથા પોસ્ટ વિભાગના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપસ્થિત ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, એકતાનગરની આ ભૂમિ જ્યાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપિત છે, ભારત માતાના બંધોની શ્રૃંખલા પૈકીના સૌથી વિશાળ અને ભારતની વિશાળ જળ ક્ષમતા-પ્રકૃતિની ધરોહર નર્મદા બંધના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ.
આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે આપ સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કોઈપણ વ્યક્તિ નાણાંથી ભાવના ખરીદી શકતો નથી પરંતુ ડાક સેવક દરેક વ્યક્તિ-પરિવારની સદભાવના બની સામાન્ય માનવી માટે વિશ્વાસની બારી બનીને અડગ વિશ્વાસ સ્થાપિત કરે છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.
તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે. ડાક સેવા એ જન સેવા છે, જે પરિવારનમાં નવી નોકરી-પ્રગતિના સંદેશા પહોંચાડી રોશનીનું પ્રથમ કિરણ ફેલાવે છે. સાથે સુકન્યા સમૃદ્ધિથી વિધવા-વૃદ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પુરી પાડે છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા આમાં રહેલી છે કે, આધુનિકતા સાથે બદલાવ પણ એટલો જ જરૂરી છે. અને ભારત સરકારનો ડાક વિભાગ પણ તે દિશામાં કાર્ય કરી નાગરિકોને ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરવાવવામાં આગળ વધી રહ્યો છે.
મંત્રીએ સૌ ગ્રામિણ ડાકસેવકોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબદ્ધ બની ડાક વિભાગને લોજિસ્ટીક સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરી સરકારના કો-સેન્ટર બનીને આર્થિક પરિવર્તનના માર્ગ પર દરેક ડાક સેવક ચેમ્પિયનના રૂપમાં કામ કરે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા નવી ઉર્જા અને નવા વિચારો સાથે કામ કરી રાષ્ટ્રહિતમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.
કેન્દ્રિય મંત્રીશ્રીના હસ્તે પશ્ચિમ વિભાગના પાંચ રાજ્યોના વિવિધ મંડલના ૨૫ જેટલા ગ્રામિણ ડાક સેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ઇશ્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર ડાક લેખોની સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમને ડાક વિભાગનો ડ્રોસકોડ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા.
