શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ગોધરામાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરાના શ્રી ગોવર્ધનનાથજીની હવેલી મંદિરમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હવેલી પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
ભક્તોએ હરિભક્તિ ભાવપૂર્વક અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે વૈષ્ણવ પરંપરાના આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી ધ્રુમિલ મહારાજએ ઉપસ્થિત ભક્તોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને સુભાષિત તેમજ આશીર્વાદ વચન આપ્યાં હતા.
મહારાજએ કહ્યું કે અન્નકૂટ મહોત્સવ માત્ર ભોજનનો ઉત્સવ નથી પરંતુ તે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને અર્પણભાવનો પ્રતીક છે.દરેક ભક્તોએ અન્નકૂટના દિવ્ય દર્શન કર્યા બાદ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ આપીને આનંદમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું.
સમગ્ર હવેલી પરિસર ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું.આ ભવ્ય મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે ઝાલા સાહેબ અને તેમનો પરિવાર રહી, જેમણે સમગ્ર આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમણે અંતે ઉપસ્થિત તમામ વૈષ્ણવો અને ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે અનેક વૈષ્ણવ સંપ્રદાયના સંતો, ભક્તો તેમજ શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહી, ભક્તિમય વાતાવરણમાં દિવ્ય આનંદનો લાભ લીધો હતો.
