ભોળાનાથની ભક્તિમાં લીન થઈ સારા અલી ખાન
કેદારનાથમાં મૌન થઈને પ્રાર્થના કરી
આ વીડિયો પર, લોકો સારાની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે સેલ્ફી માંગનારા છોકરાની ટીકા થઈ રહી છે
મુંબઈ, કેદારનાથ સાથે ઊંડો લગાવ ધરાવતી સારા અલી ખાન વારંવાર ત્યાં જતી હોય છે. તેની તાજેતરની મુલાકાતનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે ભોળાનાથની ભક્તિમાં લીન થઈ સાધુઓની વચ્ચે બેઠેલી જોવા મળે છે. જ્યારે એક ફેન તેની પાસે સેલ્ફી લેવા આવે છે, ત્યારે સારા કોઈક વિચારમાં ગરકાવ હોય તેમ તેના પર બિલકુલ ધ્યાન આપતી નથી.સારા અલી ખાને ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હોવાથી, તે આ સ્થળને ખાસ માને છે અને ઘણી વખત કેદારનાથની મુલાકાત લઈ ચૂકી છે.
સોશિયલ મીડિયા યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા તેના તાજેતરના પ્રવાસના એક વીડિયોમાં દેખાય છે કે સારા જમીન પર શાંતિથી બેઠી છે. જ્યારે તેની પાસે એક ફેન સેલ્ફી લેવા માટે આવે છે, ત્યારે સારા એવી રીતે બેઠી છે જાણે તે કશું સાંભળી કે જોઈ ન શકતી હોય. સારા ભક્તિમાં લીન જોવા મળી રહી છે. આ વીડિયો પર, લોકો સારાની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે સેલ્ફી માંગનારા છોકરાની ટીકા થઈ રહી છે. કામેન્ટ્સમાં, એક યુઝરે દુઃખ વ્યક્ત કર્યું કે મંદિરમાં લોકો ભગવાનને બદલે સેલિબ્રિટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
બીજા એકે દલીલ કરી કે લોકોને શાંતિથી પ્રાર્થના ન કરવા દેવાને કારણે જ સેલિબ્રિટીઝને પ્રાયોરિટી લાઈનમાં વિશેષ દર્શન આપવા પડે છે. અન્ય કામેન્ટ્સમાં સારાને ‘ખૂબ સારી સંસ્કારી છોકરી’ કહેવાઈ છે અને કોઈકે અનુમાન લગાવ્યું છે કે તે ઇયર મફ્સને કારણે સાંભળી શકી નહોતી. કેટલાક યુઝર્સે સુશાંત સિંહ રાજપૂતની યાદ આવવાની શક્યતા વ્યક્ત કરી.સારાએ પોતાની આ ટ્રિપની તસવીરો પોસ્ટ કરીને લખ્યું છે, ‘આખી દુનિયામાં આ એક એવી જગ્યા છે જે પોતાની લાગે છે અને દર વખતે મને આશ્ચર્યચકિત કરી દે છે. મારી પાસે જે કંઈ છે તે આપવા બદલ અને હું જે છું તે બનાવવા બદલ આભાર.’SS1
