દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું ઐકયભાવનું સપનું પૂર્ણ કરવું તે દરેક નાગરિકનું કર્તવ્ય:શંકર ચૌધરી
 
        લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી-ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી: મુખ્યમંત્રી
અમદાવાદ, અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમાને અને વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી.
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે.
આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧ ઓક્ટોબરને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ની પ્રેરણાથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે વર્ષ ૨૦૧૪થી ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાનશ્રીના સંકલ્પ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌને સાથે મળીને એકતાના કાર્યમંત્રને સિદ્ધ કરીને આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ હાકલ કરી હતી.
ગુજરાતનાં સપૂત, લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મ જયંતી પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે, આજની વૈશ્વિક સમસ્યાઓની સામે સરદાર સાહેબનો સંદેશો દુનિયા માટે ઐકયભાવ આપવા માટેનો છે. આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું પૂર્ણ કરવું તે દરેક નગરિકનું કર્તવ્ય છે. અધ્યક્ષશ્રીએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દરેક ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષ દવે અને સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી સી. બી પંડયા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.

 
                 
                 
                