ચંદ્રાલા ગામના ખેડૂતે ૭ હેકટરમાં બાગાયતી ખેતી કરીને ત્રણ વર્ષમાં જ રૂ. ૪૨ લાખ આવક કરીઃ ૨૭ લાખનો ચોખ્ખો નફો
ગાંધીનગરના ચંદ્રાલા ગામના ખેડૂત અમૃતભાઈ પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું
Ø વર્ષ ૨૦૨૪-૨૫માં જ આ પ્રગતિશીલ ખેડૂતે રૂ. ૧૮ લાખની આવક અને ૫૦ ટકા એટલે કે, રૂ. ૯ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો
જ્ઞાન, સરકારી સહાય અને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી ખેતીને સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ બનાવી શકાય છે: શ્રી અમૃતભાઈ પટેલ
Gandhinagar, એવું કહેવાય છે કે, “જે ખેડૂત ટેક્નોલોજીનો હાથ પકડે છે, તે માત્ર પાક નથી ઉગાડતો, પણ સમૃદ્ધિનું ભવિષ્ય રોપે છે.” આ વાતને ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના એક ખેડૂત – અમૃતભાઈ પટેલે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. અમૃતભાઈ પટેલ પરંપરાગત ખેતીની સીમાઓ તોડીને અને બાગાયત ખેતીની નવી ક્ષિતિજો સર કરીને આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. પરંપરાગત ખેતીથી બાગાયત ખેતી તરફ તેમની આ સફર માત્ર આવક વધારવાની નહિ, પરંતુ આધુનિક ખેતી તરફનું એક પ્રેરણાદાયી પરિવર્તન હતું.
લગભગ ૭ હેકટર જેટલી જમીન ધરાવતા અમૃતભાઈ પટેલ ઘણા વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં આવકની અનિશ્ચિતતા અને પરંપરાગત ખેતીની મર્યાદાઓમાં બંધાયેલા રહ્યા. વર્ષ ૨૦૧૯ પહેલા અમૃતભાઈ અન્ય ખેડૂતોની જેમ શાકભાજી જેવા વિવિધ પાકોની પરંપરાગત ખેતી કરતા હતા. પરંપરાગત ખેતીના પાકોમાં રોજે-રોજની દોડધામ, ભાવની વધઘટ અને પાક નિષ્ફળ જવાનો ડર હંમેશા માથે રહેતો હતો, જેના પરિણામે તેમની આંખોમાં સપનાં અને હાથમાં મહેનત સિવાય ક્યારેક નિરાશા પણ દેખાતી હતી. અમૃતભાઈ અંદરથી જાણતા હતા કે, કંઈક બદલવાની જરૂર છે; ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવવાની જરૂર છે.
અમૃતભાઈને બાગાયતી પાકોમાં પહેલેથી જ ઊંડો રસ હતો. વર્ષ ૨૦૧૯,માં તેમને વિવિધ માધ્યમો થકી ગુજરાત સરકારની વિવિધ બાગાયત કૃષિ લક્ષી યોજનાઓ અંગે માહિતી મળી. બસ પછી શું? તેમણે નક્કી કરી લીધું કે, હવે શાકભાજી અને પરંપરાગત ખેતીની જગ્યાએ ફળ અને બાગાયતી પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. આ પરિવર્તન લાવવા માટે તેમણે અંગત રસ લઈને બાગાયત ખાતાનો સહારો લીધો. સરકારી યોજનાઓએ તેમને એક એવી છત્રછાયા આપી, જેના હેઠળ તેઓ આધુનિક પદ્ધતિઓ અપનાવી શક્યા.
તેમણે વર્ષ ૨૦૧૯-૨૦થી પ્રથમવાર પોતાની ૭ હેક્ટર જમીન પર સંપૂર્ણપણે બાગાયતી ખેતી શરૂ કરી દીધી. તેમણે પ્રથમ ત્રણ વર્ષમાં જામફળ, તરબૂચ અને સક્કર ટેટીની વિવિધ જાતોની ખેતી કરી. બાગાયત ખાતા તરફથી તેમને આ ફળપાકોના વાવેતરમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, મલ્ચિંગ અને પેકિંગ મટિરિયલ્સની પણ મદદ મળી. આ સહાયે તેમનો આત્મવિશ્વાસ ખૂબ જ વધાર્યો, જે માત્ર પૈસાથી નહીં, પણ સન્માનથી પણ માપી શકાય તેમ હતો.
આજે અમૃતભાઈ તેમની ૭ હેકટર જમીનમાં જામફળ અને લીંબુ સહિતના બાગાયતી પાકોની સફળ ખેતી કરી રહ્યા છે. જેમાં તેમને બાગાયત ખાતા તરફથી ફળ પાકોના પેકિંગ માટે પ્રતિ હેકટર આશરે રૂ. ૭,૫૦૦ સુધીની સહાય પણ મળી છે. આ સહાયના માધ્યમથી તેઓ તેમના ખેતરમાં ઉત્પાદિત ફળનું આકર્ષક અને સુરક્ષિત પેકેજીંગ કરીને અમદાવદ અને ગાંધીનગરના વિવિધ બજારોમાં તેનું વેચાણ કરીને એક સન્માનજનક આવક મેળવી રહ્યા છે.
બાગાયત ખેતી શરુ કર્યાના પ્રથમ ત્રણ વર્ષમાં જ અમૃતભાઈ પટેલે કુલ રૂ. ૪૨ લાખથી વધુની આવક અને ખર્ચ કાઢતા લગભગ ૬૪ ટકા એટલે કે, કુલ રૂ. ૨૭ લાખ જેટલો ચોખ્ખો નફો મેળવ્યો હતો. આટલું જ નહિ, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પણ તેમણે જામફળ અને લીંબુની ખેતીથી કુલ રૂ. ૧૮ લાખની વાર્ષિક આવક અને ખર્ચને બાદ કરતા રૂ. ૯ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે, બાગાયત ખેતી અપનાવવાથી તેમની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે, જે પરંપરાગત ખેતી કરતાં અનેકગણો વધારે છે.
અમૃતભાઈ રાજ્યના અનેક ખેડૂતોને સંદેશ આપતા જણાવે છે કે, પરિવર્તન એ ધરતીનું બીજું નામ છે. તેને સ્વીકારો, શીખો અને આગળ વધતા રહો. જ્ઞાન, સરકારી સહાય અને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગથી ખેતીને માત્ર જીવન નિર્વાહનું સાધન જ નહીં, પણ સમૃદ્ધિનું સન્માનજનક માધ્યમ પણ બનાવી શકાય છે.
બાગાયત ખેતીમાં સફળ પરિવર્તન કરવાથી અમૃતભાઈના જીવનમાં માત્ર આવકમાં જ વધારો નથી થયો, પરંતુ તેમને સામાજિક સન્માન પણ મળ્યું છે. તેમની ગણના હવે પ્રગતિશીલ ખેડૂતોમાં થાય છે. તેમણે કરેલી જામફળની ખેતી આજે અન્ય ખેડૂતોને સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે.
