રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું: વૃક્ષારોપણ કર્યું: ગાય દોહી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યું
સુરત, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલશ્રીએ ખેતર પર જઈને સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાઉ શક્તિ વધારવાના સ્વાનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા. આ તકે રાજયપાલશ્રીએ ખેતરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જ જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ એક આંદોલન રૂપ ધારણ કરી રહી છે, જેમાં હજારો ખેડૂત જોડાઈને ધરતીમાતાને ફરી ઉપજાઉ બનાવી રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત, અને ગૌઆધારિત બાયો ઇનપુટ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉપજ સાથે સ્વસ્થ અને ટકાઉ જીવનશૈલી પ્રાપ્ત થઈ શકે છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત,વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરે છે. રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યું હતું.
તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ, સાદગી અને લોકજીવન પ્રત્યેની પોતાની આત્મીયતા દર્શાવતા,વહેલી સવારે માણેકપુર ગામના ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ઘરે પહોંચીને સ્વયં ગાય દોહી હતી.
રાજ્યપાલશ્રીએ ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતીને જીવનનું ધ્યેય ગણાવતાં જણાવ્યું કે, ગાય માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ ભારતની કૃષિ અને આરોગ્ય સંસ્કૃતિની આધ્યાત્મિક માતૃશક્તિ છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ આમ ત્રણેય પ્રકૃતિને પવિત્ર રાખે છે અને માનવ જીવનને નિરોગી બનાવે છે.
