દિલ્હીમાં હિન્દી નહીં બોલવા મુદ્દે કેરળના વિદ્યાર્થીઓને માર્યા
નવી દિલ્હી, ભાષા અને વંશીય તફાવતનું બહાનું આગળ ધરી દેશમાં વિઘટકારી માનસિકતાનો પ્રભાવ વધી રહ્યો હોવા બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કેરળના બે વિદ્યાર્થીઓને હિન્દી બોલવા માટે પોલીસ અને સ્થાનિકોએ માર માર્યાે હતો અને ધમકાવ્યા હતા.
તેમણે કેરળનો પરંપરાગત પોશાક પહેર્યાે હોવાથી દિલ્હીમાં તેમની મજાક પણ ઉડાવવામાં આવી હતી. દિલ્હી યુનિવર્સિટીની ઝાકિર હુસૈન દિલ્હી કોલેજના ફર્સ્ટ યરના બે વિદ્યાર્થીએ લુંગી પહેરેલી હતી અને તેઓ હિન્દીમાં વાત કરતા ન હતા. જેના કારણે તેમને માર મારીને અપમાન કરવામાં આવ્યું હતું.
૨૦૧૫ના વર્ષમાં ઉત્તરપૂર્વના લોકો પર સંખ્યાબંધ હુમલાઓની ઘટનાઓમાં અરુણાચલ પ્રદેશના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે નોંધ્યુ હતું કે, સાંસ્કૃતિક અને વંશીય તફાવતના કારણે દેશમાં લોકોને નિશાન બનાવવાનું દુઃખદ છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ કેસમાં સમિતીની રચના કરવાનું અને વંશીય ભેદભાવની ઘટનામાં આકરા પગલાં લેવાની સત્તા આપવાની જોગવાઈ રાખવા સૂચન કર્યું હતું. વંશીય હિંસા અને અત્યાચાર જેવા હેટ ક્રાઈમ્સ રોકવાના પગલાં ભરવા સુપ્રીમે સૂચન કર્યુ હતું.
મંગળવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે કહ્યું હતું કે, મોનિટરિંગ કમિટીની રચના થઈ ચૂકી છે અને તેથી આ પીટિશનમાં કરવા જેવું કંઈ નથી. અરજદાર તરફથી આ રજૂઆતના વિરુદ્ધમાં દલીલ કરાઈ હતી કે, વંશીય બેદભાવ અને ઉત્તર-પૂર્વના લોકોની બાદબાકીનું વલણ યથાવત છે.
વળી, મોનિટરિંગ કમિટીની બેઠક દર ત્રણ મહિને યોજાવી જોઈએ, તેના બદલે ૯ વર્ષમાં માત્ર ૧૪ વખત જ મળી છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા સ્ટેટસ રિપોર્ટ સંદર્ભે પ્રતિભાવ રજૂ કરવા અરજદારને નિર્દેશ આપ્યા હતા.SS1MS
